પ્રેરિતોનાં ક્રત્યો 27:22
1 |
તે નિર્ણય કરવામાં આવ્યો કે આપણે ઇટાલી તરફ વહાણ હંકારવું. જુલિયસ નામનો લશ્કરી સૂબેદાર પાઉલ અને બીજા કેટલાએક બંદીવાનોની ચોકી કરતો હતો. જુલિયસ પાદશાહના સૈન્યમાં સેવા કરતો હતો.
|
2 |
અમે વહાણમાં બેઠા અને વિદાય થયા. વહાણ અદ્રમુત્તિયાના શહેરમાંથી આવ્યું હતું. અરિસ્તાર્ખસ અમારી સાથે હતો. તે મકદોનિયાના થેસ્સલોનિકા શહેરનો માણસ હતો.
|
3 |
બીજે દિવસે અમે સદોન શહેરમાં આવ્યા. જુલિયસ પાઉલ તરફ ઘણો સારો હતો. તેણે પાઉલને તેના મિત્રોની મુલાકાત લેવા જવાની છૂટ આપી. આ મિત્રો પાઉલની જરૂરિયાતોના કાળજી રાખતા.
|
4 |
અમે સિદોન છોડ્યું અને સૈપ્રસ ટાપુ નજીક વહાણ હંકારી ગયા કારણ કે પવન અમારી વિરૂદ્ધ ફૂંકાતો હતો.
|
5 |
અમે કિલીકિયા અને પમ્ફુલિયા પાસેનો સમુદ્ધ ઓળંગ્યો. પછી અમે લૂકિયાના મૂરા શહેરમાં આવ્યા.
|
6 |
મૂરામાં લશ્કરના અમલદારને આલેકસાંદ્ધિયાના શહેરનું વહાણ મળ્યું. આ વહાણ ઈટાલી જતું હતું. તેથી તેણે અમને તેમાં બેસાડ્યા.
|
7 |
અમે ઘણા દિવસો સુધી ધીમે ધીમે હંકાર્યુ. અમારા માટે કનિદસ પહોંચવું ઘણું કઠિન હતું. કારણ કે પવન અમારી વિરૂદ્ધ ફૂંકાતો હતો અમે તે રસ્તે જરાય આગળ જઈ શક્યા નહિ. તેથી અમે સાલ્મોનીની નજીક ક્રીતની ટાપુની દક્ષિણ બાજુએ હંકારી ગયા.
|
8 |
અમે કિનારે કિનારે હંકારી ગયા. પણ હંકારવું ઘણું કઠણ હતું. પછી અમે (સલામત બંદર) (સેફ હાબેર્સ) નામે ઓળખાતી જગ્યાએ આવ્યા. ત્યાં નજીકમાં લસૈયા શહેર છે.
|
9 |
પણ અમે ઘણો સમય બગાડ્યો છે. હવે હંકારવું એ ઘણું ભયાનક હતું, કારણ કે યહૂદિઓના ઉપવાસનો દિવસ પછી લગભગ તેમ થયું હતું. તેથી પાઉલે તેમને ચેતવણી આપી.
|
10 |
“ભાઈઓ, હું જોઈ શકું છું કે આ સફરમાં ઘણી આફતો આવશે. વહાણ અને વહાણની અંદરની વસ્તુઓનો વિનાશ થશે. આપણા જીવો પણ જોખમમાં હશે!”
|
11 |
પરંતુ કપ્તાન અને વહાણના માલિકે પાઉલે જે કંઈ કહ્યું તે માન્યું નહિ અને લશ્કરના સૂબેદારે જે કપ્તાને અને વહાણના માલિકે કહ્યું તે માન્યું.
|
12 |
અને તે બંદર શિયાળામાં વહાણોને રહેવા માટે સારી જગ્યા ન હતી. તેથી ઘણા માણસોએ નિર્ણય કર્યો કે વહાણે ત્યાંથી વિદાય થવું જોઈએ. તે માણસોને આશા હતી કે આપણે ફ્નિકસ જઈ શકીએ. વહાણ ત્યાં શિયાળામાં રહી શકે. (ફેનિકસ ક્રીત ટાપુ પર આવેલું શહેર હતું. અને તેને એક બંદર છે જેનું મુખ અગ્નિકોણ તથા ઇશાન ખૂણા તરફ છે.)
|
13 |
પછી દક્ષિણ તરફથી સારો પવન ફૂંકાવાની શરૂઆત થઈ. વહાણ પરના માણસોએ વિચાર્યુ: “આપણે જોઈએ છે તે આ પવન છે. હવે તે આપણી પાસે છે!” તેથી તેઓએ લંગર ખેંચ્યું અને ક્રીત કિનારાની નજીક હંકારી ગયા.
|
14 |
પણ થોડા સમય પછી ઉત્તરપૂર્વીય (નોર્થ ઈસ્ટ-યુરાકુલોન) નામનો તોફાની પવન ટાપુ ઓળંગીને ધસી આવ્યો.
|
15 |
વહાણ પવનમાં સપડાયું. અને દૂર ઘસડાઈ ગયુ. વહાણ પવનની વિરૂદ્ધમાં હંકારી શકાતું ન હતું. તેથી અમે પ્રયત્ન કરવાનો બંધ કર્યો અને પવનની સાથે ઘસડાવા દીધું.
|
16 |
અમે કૌદા નામના એક નાના ટાપુ તરફ હંકારી ગયા. પછી અમે બચાવ હોડી લાવવામાં સાર્મથ્યવાન થયા. પણ તે કરવું ઘણું અધરું હતું.
|
17 |
માણસોના બચાવ હોડીને અંદર લાવ્યા બાદ તેઓએ વહાણને સાથે રાખવા વહાણની આજુબાજુ દોરડાં બાંધ્યા. તે માણસોને બીક હતી કે વહાણ સૂર્તિસના રેતીના કિનારા સાથે અથડાશે. તેથી તેઓએ સઢસામાન નીચે ઉતર્યા અને પવનથી વહાણને તણાવા દીધું.
|
18 |
બીજે દિવસે અમારા તરફ એટલા જોરથી પવન ફૂંકાતો હતો કે માણસોએ વહાણમાંથી કેટલીક વસ્તુઓ બહાર ફેંકી દીધી.
|
19 |
એક દિવસ પછી તેઓએ વહાણનાં સાધનો પોતાના હાથે જ બહાર ફેંકી દીધા.
|
20 |
ઘણા દિવસો સુધી અમે સૂર્ય કે તારાઓ જોઈ શક્યા નહિ. તોફાન ઘણું ખરાબ હતું. અમે જીવતા રહેવાની બધી આશા ગુમાવી હતી. અમે વિચાર્યુ અમે મરી જઈશું.
|
21 |
તે માણસોએ ઘણા દિવસો સુધી કંઈ ખાધું નહિ. પછી એક દિવસ પાઉલ તેઓની આગળ ઊભો રહ્યો અને બોલ્યો, “માણસો, મેં તમને ક્રીત નહિ છોડવાનું કહ્યું હતું. તમે મને ધ્યાનથી સાંભળ્યો હોત તો પછી તમને આ બધું નુકસાન અને ખોટ થાત નહિ.
|
22 |
પણ હવે હું તમને ખુશી થવા કહું છું. તમારામાંનો કોઈ મૃત્યુ પામશે નહિ. પણ વહાણનો નાશ થશે.
|
23 |
ગઇ રાત્રે દેવ તરફથી એક દેવદૂત મારી પાસે આવ્યો. હું જેની ભક્તિ કરું છું તે દેવ આ છે. હું તેનો છું.
|
24 |
દેવના દૂતે કહ્યું, ‘પાઉલ, ગભરાઈશ નહિ! તારે કૈસરની સામે ઊભા રહેવાનું જ છે. અને દેવે આ વચન આપ્યું છે. તે તારી સાથે વહાણમાં હંકારતા હશે તે બધા લોકોની જીંદગી તારે ખાતર બચાવશે અને તારે ખાતર તે પેલા લોકોનું જીવન પણ બચાવશે જે તારી સાથે વહાણ હંકારે છે.’
|
25 |
તેથી માનવબંધુઓ પ્રસન્ન થાઓ! મને દેવમાં વિશ્વાસ છે. તેના દૂતે કહ્યું તે મુજબ જ બધું બનશે.
|
26 |
પણ આપણે એક બેટ પર અથડાવું પડશે.”
|
27 |
ચૌદમી રાત આવી ત્યારે અમે આંદ્રિયા સમુદ્રમાં આમ તેમ તરતા હતા. ખલાસીઓને લાગ્યું આપણે જમીનના નજીક છીએ.
|
28 |
તેઓએ દોરડાને છેડે વજન લટકાવીને પાણીની અંદર ફેંક્યા. તેઓએ જોયું દરિયાની ઊડાઈ 120 ફૂટ હતી. તેઓ થોડા આગળ ગયા અને ફરીથી દોરડા નાખ્યા તો ત્યાં 90 ફૂટ ઊડાઈ હતી.
|
29 |
ખલાસીઓને ભય હતો કે આપણે ખડકો સાથે અથડાઇશું. તેથી તેઓએ ચાર લંગર વહાણના પાછલા ભાગમાંથી પાણીમાં નાખ્યા. પછી તેઓ દિવસનો પ્રકાશ આવે તે માટે પ્રાર્થના કરવા લાગ્યા.
|
30 |
કેટલાએક ખલાસીઓની ઈચ્છા વહાણ છોડીને જવાની હતી. તેઓએ (જીવનરક્ષા) મછવો પાણીમાં ઉતાર્યો. ખલાસીઓ બીજા માણસો વિચારે એમ ઈચ્છતા હતા. કે તેઓ વહાણની સામેથી વધારે લંગર નાખતા હતા.
|
31 |
પણ પાઉલે લશ્કરના સૂબેદાર અને બીજા સૈનિકોને કહ્યું, “જો આ લોકો વહાણમાં નહિ રહે તો પછી તેઓને બચાવાશે નહિ!”
|
32 |
તેથી સૈનિકોએ દોરડાં કાપી નાખ્યા અને જીવનરક્ષા મછવાને પાણીમાં છોડી દીધું.
|
33 |
જ્યારે અમે દિવસ ઉગવાની રાહ જોતા હતા ત્યારે પાઉલે બધા લોકોને કંઈક ખાવા માટે સમજાવવાની શરૂઆત કરી. તેણે કહ્યું, “ગયા બે અઠવાડિયાથી તમે ભૂખ્યા રહીને રાહ જોઈ છે. તમે14 દિવસ સુધી ખાધું નથી.
|
34 |
હું તમને હવે વિનંતી કરું છું કે, તમે કંઈક ખાઓ.” ‘પછી તેણે આ કહ્યું. ‘તમારે જીવતા રહેવા માટે આ તમારા માટે જરુંરી છે. તમારામાંના કોઈના માથાનો એક વાળ પણ ખરવાનો નથી,”
|
35 |
પાઉલે કેટલીક રોટલી લીધી તેઓના બધાની સમક્ષ દેવની સ્તુતિ કરી. તેણે એક ટુકડો તોડ્યો અને ખાવાની શરૂઆત કરી.
|
36 |
બધા લોકોને વધારે સારું લાગ્યું. તેઓ બધાએ પણ ખાવાનું શરૂ કર્યુ.
|
37 |
(ત્યાં વહાણમાં 276 લોકો હતા.)
|
38 |
અમે અમારી ઈચ્છા મુજબ અમે બધું ખાધું. પછી અમે વહાણને હલકું કરવા સમુદ્રમાં અનાજ નાખવાનું શરૂ કર્યુ.
|
39 |
જ્યારે દિવસનો પ્રકાશ આવ્યો ત્યારે ખલાસીઓએ જમીન જોઈ. પણ તેઓએ તે જમીન ક્યાંની હતી તે ખબર ન હતી. તેઓએ (રેતીના) કાંઠાવાળી ખાડી જોઈ. ખલાસીઓની ઈચ્છા, જો તેઓ કરી શકે તો વહાણને કિનારા સુધી હંકારવાની હતી.
|
40 |
તેથી તેઓએ સુકાનને પકડી રાખવા દોરડાં અને લંગરો સમુદ્રમાં નાખ્યા. પછી તેઓએ તે સાથે દોરડાં પણ ઢીલા કરી દીધાં. સામેનો સઢ પવન તરફ ચઢાવી દીધો અને કિનારા તરફ હંકાર્યુ.
|
41 |
પણ વહાણ ત્યાં રેતીના કિનારા સાથે અથડાયું. વહાણનો આગળનો ભાગ ત્યાં ચોટી ગયો. તે વહાણ હાલી શક્યું નહિ. પછી મોટા મોજાંઓએ વહાણના પાછળના ભાગના ટૂકડા કરવાનું શરું કર્યુ.
|
42 |
સૈનિકોએ કેદીઓને મારી નાખવાનો નિર્ણય કર્યો, જેથી કોઈ પણ કેદી તરીને દૂર ભાગી શકે નહિ.
|
43 |
પરંતુ લશ્કરી સૂબેદાર પાઉલને જીવતો રાખવા ઈચ્છતો હતો. તેથી તેણે સૈનિકોને કેદીઓને મારી નાખવાની પરવાનગી આપી નહિ. જુલિયસે જે લોકો તરવા માટે પાણીમાં કૂદકો મારી જમીન સુધી તરી જઈ શકે તેમ હોય તેને પ્રથમ તેમ કરવા કહ્યું.
|
44 |
બીજા લોકોએ વહાણના પાટિયાં કે ટુકડાઓનો ઉપયોગ કર્યો અને આ રીતે બધા લોકો જમીન પર ઉતર્યા. તે લોકોમાંથી કોઇનું મૃત્યુ થયું નહિ.
|