1. યહોવાની સ્તુતિ કરો. જે માણસ યહોવાનો ભક્ત છે, અને તેમની આજ્ઞાઓ [પાળવા] માં બહુ ખુશ થાય છે, તેને ધન્ય છે.
2. તેનાં સંતાન પૃથ્વી ઉપર બળવાન થશે. યથાર્થીના વંશજો આશીર્વાદ પામશે.
3. તેના ઘરમાં ધનદોલત થશે; અને તેનું ન્યાયીપણું સર્વકાળ ટકશે.
4. યથાર્થીને માટે અંધારામાં અજવાળું પ્રગટ થાય છે. તે કૃપાળુ, રહેમી તથા ન્યાયી છે.
5. જે માણસ કૃપા રાખીને ધીરે છે તેનું ભલું થાય છે; તે પોતાનાં કામકાજ ડહાપણથી ચલાવશે.
6. કેમ કે તે કદી પણ ડગશે નહિ; ન્યાયીનું સ્મરણ સર્વકાળ રહેશે.
7. તે માઠા સમાચારથી બીનાર નથી, તેનું હ્રદય યહોવા પર ભરોસો રાખીને સુદઢ રહે છે.
8. તેનું અંત:કરણ સ્થિર છે, [તેથી] તે પોતાના શત્રુઓ પર [ફતેહ] મેળવતાં સુધી બીશે નહિ.
9. તેણે મોકળે હાથે દરિદ્રીઓને આપ્યું છે, તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે, તેનું શિંગ માન સહિત ઊંચું થશે.
10. એ જોઈને દુષ્ટોને સંતાપ થશે. તેઓ પોતાના દાંત પીસશે, અને સુકાઈ જશે; એમ દુષ્ટોની ધારણા નિષ્ફળ થશે.