1. હે ન્યાયીઓ, તમે યહોવામાં હરખાઓ; યથાર્થીઓ સ્તુતિ કરે તે ઘટિત છે.
2. વીણાથી યહોવાની સ્તુતિ કરો; દશ તારવાળાં વાજાં સાથે તેમનાં સ્તોત્ર ગાઓ.
3. તેમની આગળ નવું ગીત ગાઓ; મોટેથી તથા ચાતુર્યથી વાજિંત્ર વગાડો.
4. કેમ કે યહોવાનો શબ્દ યથાર્થ છે. અને તેમનાં સર્વ કૃત્યો વિશ્વાસુપણામાં [કરાય] છે.
5. તે ન્યાય અને ન્યાયી વર્તન ચાહે છે; પૃથ્વી યહોવાની કૃપાથી ભરપૂર છે.
6. યહોવાના શબ્દ વડે આકાશો તથા તેમના મુખના શ્વાસ વડે તેઓનાં સર્વ સૈન્યો ઉત્પન્ન થયાં.
7. તે સમુદ્રનાં પાણીને મશકની માફક ભેગાં કરે છે; તેનાં ઊંડાણોને તે વખારોમાં ભરી રાખે છે.
8. આખી પૃથ્વી યહોવાથી બીઓ; દુનિયાના સર્વ રહેવાસીઓ તેમનું ભય રાખો.
9. કેમ કે તે બોલ્યા, અને [સૃષ્ટિ] થઈ. તેમણે આજ્ઞા કરી, અને તે સ્થિર થઈ.
10. યહોવા વિદેશીઓની મસલત વ્યર્થ કરે છે; તે પ્રજાઓની ધારણા નિરર્થક કરે છે.
11. યહોવાનો મનસૂબો સર્વકાળ ટકે છે, તેમના હ્રદયની ધારણા પેઢી દરપેઢી દઢ રહે છે.
12. જે પ્રજાના ઈશ્વર યહોવા છે, અને જે લોકને તેમણે પોતાના વારસાને માટે પસંદ કર્યા છે, તેઓને ધન્ય છે!
13. યહોવા આકાશમાંથી જુએ છે; તે સર્વ મનુષ્યોને જુએ છે.
14. પોતાના [નિવાસ] સ્થાનમાંથી તે પૃથ્વીના સર્વ રહેવાસીઓને નિહાળે છે;
15. એટલે જે [ઈશ્વર] તે સર્વનાં હ્રદયના સરજનહાર છે, તથા તેમનાં સર્વ કામ ધ્યાનમાં રાખનાર છે તે [તેમને નિહાળે છે].
16. મોટા સૈન્ય વડે કોઈ રાજા બચી શકતો નથી; મોટા પરાક્રમ વડે બળવાન પુરુષ છૂટી જતો નથી.
17. બચાવને માટે ઘોડો નકામો છે; તે પોતાના બહુ બળથી કોઈને ઉગારી શકશે નહિ.
18. જુઓ, યહોવાના ભકતો તથા તેમની કૃપા પર આશા રાખનારાં ઉપર તેમની કૃપાદષ્ટિ છે;
19. જેથી તે તેઓના જીવને મોતથી બચાવે, અને દુકાળને સમયે તેઓને જીવતાં રાખે.
20. આપણા આત્માએ યહોવાની રાહ જોઈ છે; તે આપણા સહાયકારી તથા આપણી ઢાલ છે.
21. આપણાં હ્રદય તેમનામાં હર્ષ પામશે, કારણ કે આપણે તેમના પવિત્ર નામ પર ભરોસો રાખ્યો છે.
22. હે યહોવા, અમે તમારા પર આશા રાખી છે તે પ્રમાણે તમારી કૃપા અમારા ઉપર થાઓ.