1. દીકરાઓ, પિતાની શિખામણ સાંભળો, અને બુદ્ધિ મેળવવાને ધ્યાન દો;
2. કેમ કે હું તમને ઉત્તમ બોધ આપું છું; મારા શિક્ષણનો ત્યાગ ન કરો.
3. કેમ કે હું મારા પિતાનો [માનીતો] દીકરો હતો, મારી માની દષ્ટિમાં હું સુકુમાર તથા એકનોએક હતો.
4. મારા પિતાએ મને શિક્ષણ આપતાં કહ્યું, “તારા અંત:કરણમાં મારા શબ્દો સંઘરી રાખ; મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે:
5. જ્ઞાન મેળવ, બુદ્ધિ સંપાદન કર; ભૂલીશ નહિ, અને મારા મુખના શબ્દ ભૂલીને આડે માર્ગે વળીશ નહિ;
6. તેને તું ન તજ, એટલે તે તારું રક્ષણ કરશે; તેના પર પ્રેમ કર, ને તે તને સંભાળશે.
7. જ્ઞાન એ જ મુખ્ય વસ્તુ છે; તેથી તે પ્રાપ્ત કર; તારી બધી કમાણી ઉપરાંત બુદ્ધિ પ્રાપ્ત કર.
8. તેનું સન્માન કર, અને તે તને ઉચ્ચ પદવીએ ચઢાવશે; તું તેને ભેટીશ, તો તે તને પ્રતિષ્ઠિત કરશે.
9. તે તારા માથાને શોભાનો શણગાર પહેરાવશે; તે તને તેજસ્વી મુગટ આપશે.”
10. હે મારા દીકરા, મારી વાતો સાંભળીને સ્વીકાર; એટલે તારા આવરદાનાં વર્ષો ઘણાં થશે.
11. મેં તને જ્ઞાનના માર્ગમાં કેળવ્યો છે; મેં તને પ્રામાણિકપણાને રસ્તે દોર્યો છે.
12. તું ચાલશે ત્યારે તારાં પગલાં સંકોચ પામશે નહિ; અને તું દોડશે ત્યારે તને ઠોકર વાગશે નહિ.
13. શિખામણને મજબૂત પકડી રાખ; તેને છોડતો નહિ; તેને સંઘરી રાખ; કેમ કે તે તારું જીવન છે.
14. દુષ્ટના માર્ગમાં પ્રવેશ ન કર; અને ભૂંડા માણસોના રસ્તામાં ન ચાલ.
15. તેનાથી દૂર રહે, તેની પડખે ન જા; તેનાથી પાછો ફરી જઈને ચાલ્યો જા.
16. કેમ કે તેઓ નુકસાન કર્યા વગર ઊંઘતા નથી; અને કોઈને ફસાવ્યા વગર તેમની ઊંઘ ઊડી જાય છે.
17. કેમ કે તેઓ દુષ્ટતાને અન્ન તરીકે ખાય છે, અને જોરજુલમને દ્રાક્ષારસની જેમ પીએ છે.
18. પણ સદાચારીનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે, જે મધ્યાહન થતાં સુધી વધતો ને વધતો જાય છે.
19. દુષ્ટોનો માર્ગ અંધકારરૂપ છે; તેઓ શાથી ઠેસ ખાય છે, તે તેઓ જાણતા નથી.
20. મારા દીકરા, મારા શબ્દો પર લક્ષ આપ; મારી વાતો પર કાન ધર.
21. તેઓને તારી આંખ આગળથી દૂર થવા ન દે; તેઓને તારા હ્રદયમાં રાખ.
22. તે જેઓને મળે છે, તેઓને તે જીવનરૂપ છે, અને તેમના આખા શરીરને આરોગ્યરૂપ છે.
23. પૂર્ણ ખંતથી તારા હ્રદયની સંભાળ રાખ; કેમ કે તેમાંથી જ જીવનનો ઉદભવ છે.
24. આડું મોઢું તારી પાસેથી દૂર કર, અને હઠીલા હોઠ તારાથી દૂર રાખ.
25. તારી આંખો સામી નજરે જુએ, અને તારાં પોપચાં તારી આગળ સીધી નજર નાખે.
26. તારા પગનો માર્ગ સપાટ કર, અને તારા સર્વ રસ્તા નિયમસર થાય.
27. જમણે કે ડાબે હાથે મરડાઈને જતો નહિ; દુષ્ટતાથી તારો પગ દૂર કર.