1. દરેક ડાહી સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે; પણ મૂર્ખ પોતાના જ હાથથી તેને તોડી પાડે છે.
2. જે પ્રામાણિકપણે ચાલે છે, તે યહોવાનું ભય રાખે છે. પણ જે પોતાના માર્ગોમાં અવળો ચાલે છે, તે તેને તુચ્છ માને છે.
3. મૂર્ખના મોઢામાં અભિમાનની સોટી છે; પણ જ્ઞાનીઓના હોઠ તેમનું રક્ષણ કરશે.
4. જ્યાં બળદો નથી, ત્યાં ગભાણ સાફ હોય છે; પણ બળદના બળથી ઘણી નીપજ થાય છે.
5. વિશ્વાસુ સાક્ષી જૂઠું બોલશે નહિ; પણ જૂઠો સાક્ષી જૂઠ જ ઊચરે છે.
6. તિરસ્કાર કરનાર માણસ જ્ઞાન શોધે છે, પણ [તેને તે જડતું] નથી; પણ બુદ્ધિમાનને જ્ઞાન સહજ [પ્રાપ્ત થાય] છે.
7. જો તું મૂર્ખ માણસની પાસે જશે, તો જ્ઞાની હોઠો તારા જોવામાં આવશે નહિ.
8. પોતાનો માર્ગ સમજવામાં ડાહ્યા માણસનું જ્ઞાન છે; પણ મૂર્ખની મૂર્ખાઈ તેનું કપટ છે.
9. મૂર્ખ પાપને મશ્કરીમાં ઉડાવે છે; પણ પ્રામાણિકો ઉપર [ઈશ્વરની] કૃપા છે.
10. અંત:કરણ પોતે પોતાની વેદના જાણે છે; અને પારકો તેના આનંદમાં હાથ નાખી શક્તો નથી.
11. દુષ્ટનું ઘર પાયમાલ થશે; પણ પ્રામાણિકનો તંબુ આબાદ રહેશે.
12. એક એવો માર્ગ છે કે, જે માણસોને ઠીક લાગે છે, પણ તેનું પરિણામ મોતનો માર્ગ છે.
13. હસતી વેળાએ પણ હ્રદય ખિન્ન હોય છે; અને હાસ્યનું પરિણામ શોક છે.
14. પાપી હ્રદયવાળાને પોતાના જ માર્ગનું ફળ ચાખવું પડશે; અને સારો માણસ પોતા [ની જ વર્તણૂક] થી [તૃપ્ત થશે].
15. ભોળો માણસ દરેક શબ્દ ખરો માને છે, પણ ડાહ્યો પુરુષ પોતાની વર્તણૂક બરાબર ચોક્કસ રાખે છે.
16. જ્ઞાની માણસ દુષ્ટતાથી બીને દૂર થાય છે; પણ મૂર્ખ માણસ ઉન્મત્ત થઈને બેદરકાર બને છે.
17. જેને જલદી ક્રોધ ચઢે છે, તે મૂર્ખાઈ કરશે; અને દુષ્ટ યોજના કરનાર ધિક્કાર પામે છે.
18. ભોળા માણસો મૂર્ખાઈનો વારસો પામે છે; પણ ડાહ્યા માણસોને ડહાપણનો મુગટ પહેરાવવામાં આવે છે.
19. ભૂંડાઓ સજ્જનોની આગળ, અને દુષ્ટો સદાચારીઓનાં બારણાંની આગળ નમે છે.
20. ગરીબને પોતાનો પડોશી પણ ધિક્કારે છે; પણ દ્રવ્યવાનને ઘણા મિત્રો હોય છે.
21. પોતાના પડોશીને તુચ્છ ગણનાર પાપ કરે છે; પણ ગરીબ પર દયા રાખનારને ધન્ય છે.
22. ભૂંડી યોજના કરનારાઓ શું ભૂલ નથી કરતા? પણ ભલી યોજના કરનારાને કૃપા અને સત્ય [પ્રાપ્ત થશે].
23. સર્વ પ્રકારના ઉદ્યોગમાં લાભ છે; પણ હોઠોની વાત માત્ર દરિદ્રતા લાવનારી છે.
24. જ્ઞાનીઓનો મુગટ તેઓનું ધન છે; પણ મૂર્ખોની મૂર્ખાઈ તો મૂર્ખાઈ જ રહે છે.
25. સાચો સાક્ષી જીવોને બચાવે છે; પણ જૂઠું બોલનાર કપટ [કરે છે]
26. યહોવાના ભયમાં દઢ વિશ્વાસ સમાયેલો છે; અને તે રાખનારનાં છોકરાંને આશ્રયસ્થાન મળશે.
27. મોતના ફાંદામાંથી છૂટી જવાને માટે યહોવાનું ભય જીવનનો ઝરો છે.
28. ઘણી પ્રજા તે રાજાનું માન છે; પણ પ્રજાની અછતમાં સરદારનો નાશ છે.
29. જે ક્રોધ કરવે ધીમો છે તે ઘણો બુદ્ધિમાન છે; પણ ઉતાવળિયા સ્વભાવનો માણસ મૂર્ખાઈને ઉત્તેજન આપે છે.
30. હ્રદયની શાંતિ શરીરનું જીવન છે; પણ ઈર્ષા હાડકાંનો સડો છે.
31. ગરીબ પર જુલમ કરનાર પોતાના સરજનહારની નિંદા કરે છે; પણ દરિદ્રી ઉપર દયા રાખનાર તેને માન આપે છે.
32. દુષ્ટને પોતાની દુષ્ટતાથી હડસેલી પાડવામાં આવે છે; પરંતુ સદાચારીને પોતાના મોતમાં આશા હોય છે.
33. બુદ્ધિમાનના અંત:કરણમાં જ્ઞાન રહે છે; પણ મૂર્ખના અંતરમાંનું [જ્ઞાન] જણાઈ જાય છે.
34. સદાચારથી પ્રજાની ચઢતી થાય છે; પણ પાપ હરકોઈ પ્રજાને લાંછનરૂપ છે.
35. બુદ્ધિમાન સેવક પર રાજાની કૃપા હોય છે; પણ બદનામી કરાવનાર પર તેનો ક્રોધ હોય છે.