1. જ્ઞાની દીકરો પોતાના પિતાને હર્ષ ઉપજાવે છે; પણ મૂર્ખ દીકરો પોતાની માને ભારરૂપ છે.
2. દુષ્ટતાનો સંગ્રહ કંઈ ભલું કરતો નથી; પણ નેકી મોતથી ઉગારે છે.
3. સદાચારીના આત્માને યહોવા ભૂખે મરવા દેશે નહિ; પણ દુષ્ટની ઇચ્છાને તે નિષ્ફળ કરે છે.
4. ગાફેલ હાથથી કામ કરનાર દરિદ્રી થાય છે; પણ ઉદ્યોગીનો હાથ તેને ધનવાન બનાવે છે.
5. ડાહ્યો દીકરો ઉનાળામાં સંગ્રહ કરે છે; પણ કાપણીની મોસમમાં સૂઈ રહેનારો દીકરો બદનામી કરાવે છે.
6. સદાચારીને માથે આશીર્વાદ ઊતરે છે; પણ દુષ્ટોનું મોઢું બલાત્કારથી ઢંકાયેલું છે.
7. ન્યાયીના સ્મરણને ધન્યવાદ મળે છે; પણ દુષ્ટોનું નામ તો સડી જશે.
8. જ્ઞાની હ્રદયવાળો આજ્ઞાઓનો સ્વીકાર કરશે; પણ બકબકાટ કરનારો મૂર્ખ પાયમાલ થશે.
9. પ્રામાણિકપણાથી ચાલનાર મક્કમ પગલે ચાલે છે; પણ અવળે રસ્તે ચાલનાર તો જણાઈ આવશે.
10. આંખથી મીંચકારા કરનાર ખેદ કરાવે છે; પણ બકબકાટ કરનારો મૂર્ખ પાયમાલ થશે.
11. સદાચારીનું મોં જીવનનો ઝરો છે; પણ દુષ્ટોનું મોઢું બલાત્કારથી ઢંકાયેલું રહે છે.
12. દ્વેષથી ઝઘડા ઊભા થાય છે; પણ પ્રેમ સર્વ અપરાધોને ઢાંકી દે છે.
13. વિવેકબુદ્ધિવાળાના હોઠો પર જ્ઞાન માલૂમ પડે છે; પણ મૂર્ખની પીઠને માટે લાકડી છે.
14. જ્ઞાની પુરુષો ડહાપણનો સંગ્રહ કરે છે; પણ મૂર્ખનું મોં તત્કાળ નાશ લાવે છે.
15. દ્રવ્યવાન માણસનું ધન એ તેનું કિલ્લેબંધીવાળું નગર છે; પણ દરિદ્રતા દરિદ્રીનો નાશ કરે છે.
16. સદાચારીની મહેનત જીવનસાધક છે; દુષ્ટની પેદાશ પાપકારક છે.
17. શિખામણને સ્વીકારનાર જીવનના માર્ગમાં છે; પણ ઠપકાનો ત્યાગ કરનાર ભૂલ કરે છે.
18. જે દ્વેષ છુપાવે છે તે જૂઠા હોઠવાળો છે; અને ચાડી કરનાર મૂર્ખ છે.
19. ઘણું બોલવામાં દોષની અછત હોતી નથી; પણ પોતાના હોઠો પર દાબ રાખનાર ડહાપણ કરે છે.
20. સદાચારીની જીભ ચોખ્ખી ચાંદી જેવી છે; પણ દુષ્ટના હ્રદયની કિંમત કોડીનીયે નથી,
21. નેક માણસના હોઠો ઘણાને તૃપ્ત કરે છે; પણ મૂર્ખો બુદ્ધિની અછતથી માર્યા જાય છે.
22. યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે. અને તેની સાથે કંઈ ખેદ મિશ્રિત નથી.
23. દુષ્ટતા કરવી એ મૂર્ખને તો રમત જેવું છે; પણ સમજણો માણસ જ્ઞાનથી [આનંદ મેળવે] છે.
24. દુષ્ટનું ભય તેના પોતાના ઉપર આવી પડશે; પણ નેક માણસની ઇચ્છા તૃપ્ત કરવામાં આવશે.
25. વંટોળિયો જતો રહે છે, તેમ દુષ્ટ સદાને માટે લોપ થઈ જાય છે; પણ નેક પુરુષ સર્વકાળ ટકનાર પાયારૂપ છે.
26. જેમ દાંતને સરકો, અને આંખોને ધુમાડો [હેરાન કરે છે], તેમ આળસુ પોતાને [કામ પર] મોકલનારને [હેરાન કરે છે].
27. યહોવાનું ભય આયુષ્ય વધારે છે; પણ દુષ્ટોનાં વર્ષો ટૂંકાં કરવામાં આવશે.
28. સદાચારીઓની આશાનું પરિણામ આનંદ છે; પણ દુષ્ટોની અપેક્ષા નિષ્ફળ જશે.
29. યહોવાનો માર્ગ પ્રામાણિકોને કિલ્લારૂપ છે; પણ તે દુષ્કર્મીઓને નાશરૂપ છે.
30. સદાચારીઓને કદી ખસેડવામાં આવશે નહિ; પણ દુષ્ટો દેશમાં કાયમ રહેશે નહિ.
31. સદાચારીઓનું મોં જ્ઞાન પ્રગટ કરે છે; પણ હઠીલી જીભ કાપી નાખવામાં આવશે.
32. સંતોષકારક શું છે તે સદાચારીના હોઠ જાણે છે; પણ દુષ્ટ પોતાને મોઢે આડું બોલે છે.