1. મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તેં પારકાને માટે કોલ આપ્યો હોય,
2. તો તું તારા મુખનાં વચનોથી ફસાયો છે, તું તારા મુખના શબ્દોથી સપડાયો છે;
3. તો, મારા દીકરા, તારા પડોશીના હાથમાં તું આવી ગયો છે, માટે તેનાથી છૂટી જવાને હમણાં જ આ કર: જા, તારા પડોશીની આગળ નમી જઈને કાલાવાલા કર.
4. તારી આંખને નિદ્રા અને તારાં પોપચાંને ઊંઘ લેવા ન દે.
5. જેમ [શિકારીને] કબજેથી હરણી, અને પારધીના હાથમાંથી પક્ષી [છૂટી જાય], તેમ તું પોતાને છૂટો કર.
6. હે આળસુ, તું કીડી પાસે જા; તેના માર્ગોનો વિચાર કરીને બુદ્ધિમાન થા:
7. તેને તો કોઈ નાયક, મુકાદમ કે હાકેમ નથી,
8. તેમ છતાં તે ઉનાળામાં પોતાના અન્નનો સંગ્રહ કરે છે, અને કાપણીની મોસમમાં પોતાનો ખોરાક ભરી રાખે છે.
9. હે આળસુ, તું ક્યાં સુધી સૂઈ રહેશે? ક્યારે તું નિદ્રામાંથી ઊઠશે?
10. [તું કહે છે, “હજી] થોડીક નિદ્રા, થોડીક ઊંઘ, ટૂંટિયાં વાળીને થોડોક આરામ [લેવા દો];”
11. એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ, અને તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની જેમ આવી પડશે.
12. લુચ્ચો તથા દુષ્ટ માણસ, આડે મોઢે બોલે છે;
13. તે પોતાની આંખે મીંચકારા મારે છે, તે પોતાના પગોથી ઇશારા કરે છે, તે પોતાની આંગળીઓથી સંકેત કરે છે;
14. તેના હ્રદયમાં આડાઈ છે, તે સતત તરકટ રચ્યા કરે છે; તે કુસંપનાં બીજ રોપે છે.
15. માટે એકાએક તેના પર વિપત્તિ આવી પડશે; અચાનક તેનો નાશ થશે, અને તેનો કંઈ ઉપાય ચાલશે નહિ.
16. છ વાનાં યહોવા ધિક્કારે છે; હા, સાત વાનાં પ્રભુને કંટાળો ઉપજાવે છે:
17. એટલે ગર્વિષ્ઠ આંખો, જૂઠાબોલી જીભ, નિર્દોષ લોહી વહેવડાવનાર હાથ;
18. દુષ્ટ તરંગો રચનાર હ્રદય, નુકસાન કરવાને દોડી જનાર જલદ પગ;
19. અસત્ય ઉચ્ચારનાર જૂઠો સાક્ષી, અને ભાઈઓમાં કુસંપનું બીજ વાવનાર.
20. મારા દીકરા, તારા પિતાની આજ્ઞા પાળ, અને તારી માની શિખામણનો ત્યાગ ન કર;
21. તેમને સદા તારા અંત:કરણમાં સંઘરી રાખ, તેમને તારે ગળે બાંધ.
22. તું ચાલતો હશે, ત્યારે તે તને દોરશે; તું સૂતો હશે, ત્યારે તે તારી ચોકી કરશે; તું જાગતો હશે, ત્યારે તે તારી સાથે વાતચીત કરશે.
23. કેમ કે આજ્ઞા દીપક છે, અને શિક્ષણ તથા તેની સાથે નસીહત એ જીવનનો માર્ગ છે;
24. તે તને ભૂંડી સ્ત્રીથી, તથા પરનારીની જીભની ખુશામતથી બચાવવા માટે છે.
25. તારું અંત:કરણ તેની ખૂબસૂરતી પર મોહિત ન થાય; અને તેની આંખોનાં પોપચાંથી તું ફિદા ન થઈ જા.
26. કેમ કે વેશ્યા સ્ત્રીને લીધે પુરુષની ખાનાખરાબી થાય છે. અને વ્યભિચારિણી મૂલ્યવાન જીવનો શિકાર શોધે છે.
27. કોઈ માણસ પોતાના ખોળામાં અગ્નિ લે, તો શું તેનાં લૂંગડાં બળ્યા વગર રહે?
28. જો કોઈ માણસ અંગારા પર ચાલે, તો શું તેના પગ દાઝ્યા વગર રહે?
29. જે કોઈ પોતાના પડોશીની પત્ની પાસે જાય છે તેને એમ જ [થાય છે]; જે કોઈ તેને અડકે છે તે શિક્ષા પામ્યા વગર નહિ રહે
30. જો કોઈ માણસ ભૂખ્યો હોવાથી પોતાના જીવને તૃપ્ત કરવા માટે ચોરી કરે, તો લોકો એવાને ધિક્કારતા નથી;
31. પણ જો તે પકડાય, તો તેને સાતગણું પાછું ભરી આપવું પડશે; તેને પોતાના ઘરની બધી સંપત્તિ આપી દેવી પડશે.
32. સ્ત્રીની સાથે વ્યભિચાર કરનાર અક્કલહીન છે; તે પોતાના આત્માનો નાશ કરનારું કૃત્ય છે.
33. તેને ઘા તથા અપમાન મળશે; અને તેનું લાંછન ભૂંસાઈ જશે નહિ.
34. કેમ કે વહેમ એ પુરુષનો કાળ છે; વૈરને દિવસે તે કંઈ કાચું રાખશે નહિ.
35. ગમે તેટલી ગુનેગારીની તે દરકાર કરશે નહિ; તું ઘણી ભેટો આપશે, તોપણ તે સંતોષ પામશે નહિ.