1. યહોવાની સ્તુતિ કરો. ન્યાયીઓની સભામાં તથા મંડળીમાં હું ખરા હ્રદયથી યહોવાની આભારસ્તુતિ કરીશ.
2. યહોવાનાં કૃત્યો મહાન છે, તેથી આનંદ માનનારાઓ તેઓને શોધી કાઢે છે.
3. તેમનું કામ તેજસ્વી તથા શોભાયમાન છે; અને તેમનું ન્યાયીપણું સદાકાળ ટકે છે.
4. તેમણે પોતાનાં ચમત્કારી કામોથી પોતાને માટે સ્મારક કર્યું છે; યહોવા કૃપાળુ તથા દયાથી ભરપૂર છે.
5. જેઓ તેમના ભક્તો છે તેમને તેમણે ખોરાક આપ્યો છે. તે પોતાના કરારનું સદાકાળ સ્મરણ રાખશે.
6. વિદેશીઓનો વારસો પોતાના લોકોને આપીને તેમણે તેઓને પોતાનાં કામોનું પરાક્રમ દેખાડ્યું છે.
7. તેમના હાથનાં કામ સત્યતા અને ન્યાય છે; તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વાસ યોગ્ય છે.
8. તેઓ સદા સ્થિર રખાયેલી છે, અને સત્યતાથી તથા પ્રામાણિકપણે કરવામાં આવેલી છે.
9. તેમણે પોતાના લોકની પાસે ઉદ્ધાર મોકલ્યો છે; અને પોતાનો કરાર સર્વકાળ માટે ફરમાવ્યો છે. તેમનું નામ પવિત્ર તથા ભયાવહ છે.
10. યહોવાનું ભય તે બુદ્ધિનો આરંભ છે; જેઓ તેમની આજ્ઞા પાળે છે તે બધાની બુદ્ધિ સારી છે. તેમની સ્તુતિ સર્વકાળ થશે.