1. ડાહ્યો દીકરો પોતાના પિતાની શિખામણ [માને છે]; પણ તિરસ્કાર કરનાર માણસ ઠપકાને કાન દેતો નથી.
2. માણસ પોતાના શબ્દોથી હિતકારક ફળ ખાશે; પણ કપટીનો જીવ જુલમ [વેઠશે].
3. પોતાનું મુખ સાચવીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે; પણ પહોળા મુખથી બોલનારનો વિનાશ થશે.
4. આળસુનો જીવ ઇચ્છા કરે છે, પણ તેને કંઈ મળતું નથી; પણ ઉદ્યોગીના જીવને પુષ્ટ કરવામાં આવશે.
5. સદાચારી માણસ જૂઠનો ધિક્કાર કરે છે; પણ દુષ્ટ માણસ કંટાળો આપે છે, અને બદનામ થાય છે.
6. સદાચારી યથાર્થી માણસોનું રક્ષણ કરે છે; પણ દુષ્ટતા પાપીને ઉથલાવી નાખે છે.
7. એવા [લોકો] છે કે જે દ્રવ્ય પ્રાપ્ત કરવા છતાં છેક કંગાલ હોય છે; એવા પણ છે કે જે પોતાને દરિદ્રી બનાવી દેવા છતાં ધનાઢ્ય હોય છે.
8. દ્રવ્યવાનના જીવનો બદલો તેનું દ્રવ્ય છે; પણ દરિદ્રીને ધમકી સાંભળવી પડતી નથી.
9. નેકીવાનોનો પ્રકાશ આનંદ છે; પણ દુષ્ટોનો દીવો હોલવી નાખવામાં આવશે.
10. અભિમાનથી તો કેવળ તકરાર ઉત્પન્ન થાય છે. પણ સારી સલાહ માનનારાઓ પાસે જ્ઞાન છે.
11. ખોટે રસ્તે મેળવેલું દ્રવ્ય ઘટી જશે; પણ મહેનતથી સંગ્રહ કરનારની પાસે તેનો વધારો થશે.
12. આશા [નું ફળ મળવામાં] વિલંબ થયાથી અંત:કરણ ઝૂરે છે; પણ ઇચ્છાનું ફળ મળે છે ત્યારે તે જીવનવૃક્ષ છે.
13. વચનને તુચ્છ ગણનારનો નાશ થાય છે; પણ આજ્ઞાનું ભય રાખનારને બદલો મળશે.
14. મોતના ફાંદાઓમાંથી છૂટી જવાને માટે, જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે.
15. સારી સમજણવાળાને કૃપા મળે છે; પણ કપટીનો માર્ગ ખરબચડો છે.
16. પ્રત્યેક ડાહ્યો માણસ બુદ્ધિથી કામ કરે છે; પણ મૂર્ખ [પોતાની] મૂર્ખાઈ ફેલાવે છે.
17. દુષ્ટ સંદેશિયો હાનિમાં પડે છે; પણ વિશ્વાસુ એલચી આરોગ્યરૂપ છે.
18. જે શિખામણનો ત્યાગ કરે છે તેને દરિદ્રતા તથા બદનામી [મળશે]; પણ જે ઠપકાને ગણકારશે તે માન પામશે.
19. ઇચ્છાની તૃપ્તિ આત્માને મીઠી લાગે છે; પણ દુષ્ટતાથી દૂર થવું એ મૂર્ખોને કંટાળારૂપ છે.
20. જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.
21. પાપીઓની પાછળ નુકસાન લાગેલું રહે છે; પણ નેકીવાનોને હિતકારક બદલો મળશે.
22. સારો માણસ પોતાનાં છોકરાંનાં છોકરાંને માટે વારસો મૂકી જાય છે; અને પાપીનું ધન નેકીવાનને માટે ભરી મૂકવામાં આવે છે.
23. ગરીબોની ખેતીમાં ઘણું અન્ન [નીપજે છે]; પરંતુ અન્યાયના કારણથી નાશ પામનારા [માણસો] પણ છે.
24. જે સોટી મારતો નથી, તે પોતાના દીકરાનો વૈરી છે; પણ તેના પર પ્રેમ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.
25. નેકીવાન પોતાને સંતોષ થતાં સુધી ખાય છે; પણ દુષ્ટનું પેટ ભૂખ્યું ને ભૂખ્યું રહેશે.