1 કરિંથીઓને પ્રકરણ 9
1. શું હું સ્વતંત્ર નથી? શું હું પ્રેરિત નથી? શું મને આપણા પ્રભુ ઈસુનું દર્શન થયું નથી? શું તમે પ્રભુમાં મારા કામનું ફળ નથી?
2. જો હું બીજાઓની દષ્ટિમાં પ્રેરિત ન હોઉં, તોપણ બેશક તમારે માટે તો છું જ, કેમ કે પ્રભુમાં તમે મારા પ્રેરિતપણાનો મહોરસિક્કો છો.
3. મારી તપાસ કરનારાને એ જ મારો પ્રત્યુત્તર છે.
4. શું અમને ખાવાપીવાનો અધિકાર નથી?
5. શું બીજા પ્રેરિતોની તથા પ્રભુના ભાઈઓની તથા કેફાની જેમ મને પણ વિશ્વાસી સ્ત્રીને સાથે લઈને ફરવાનો અધિકાર નથી?
6. અથવા ધંધોરોજગાર ન કરવાનો અધિકાર માત્ર મને તથા બાર્નાબાસને જ નથી શું?
7. એવો ક્યો સિપાઈ છે કે જે કોઈ પણ વખતે પોતાને ખરચે લડે છે? વળી દ્રાક્ષાવાડી રોપીને તેનું ફળ કોણ ખાતો નથી? અથવા [ઘેટાંબકરાંનું] ટોળું પાળીને તે ટોળાનું દૂધ કોણ ખાતો નથી?
8. આ વાતો શું હું માણસોની દલીલો વાપરીને કહું છું? અથવા નિયમશાસ્ત્ર પણ એમ જ કહેતું નથી?
9. કેમ કે મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલું છે, “પગરે ફરતા બળદના મોઢા પર શીંકી ન બાંધ.” શું [આવી આજ્ઞા આપવામાં] ઈશ્વર બળદની ચિંતા કરે છે.
10. કે, ફકત આપણી ખાતર તે એમ કહે છે? હા, આપણી જ ખાતર એવું લખેલું છે: કેમ કે જે ખેડે છે તેણે આશાથી ખેડવું, અને જે મસળે છે તેણે ફળ પામવાની આશાથી [મસળવું જોઈએ].
11. જો અમે તમારે માટે આત્મિક વસ્તુઓ વાવી છે, તો અમે તમારી શરીરોપયોગી વસ્તુઓ લણીએ એ કંઈ મોટી વાત કહેવાય?
12. જો બીજાઓ તમારા પરના એ હકનો લાભ લે છે, તો [તેઓના કરતાં] અમારો વધારે હક નથી શું? તોપણ એ હકનો અમે ઉપયોગ કર્યો નથી, પણ અમારાથી ખ્રિસ્તની સુવાર્તાને કંઈ અટકાવ ન થાય માટે સર્વ સહન કરીએ છીએ.
13. જેઓ મંદિરમાં સેવાનું કામ કરે છે તેઓ મંદિરમાંનું ખાય છે, અને જેઓ વેદીની સેવા કરે છે તેઓ વેદીના ભાગીદાર છે, એ શું તમે નથી જાણતા?
14. જેઓ સુવાર્તા પ્રગટ કરે છે, તેઓ સુવાર્તાથી પોતાની આજીવિકા ચલાવે એમ પ્રભુએ ઠરાવ્યું છે.
15. પણ એવો કશો વહીવટ મેં રાખ્યો નથી. અને મારા સંબંધમાં એમ થવું જોઈએ, એ માટે મેં આ વાતો લખી નથી. કેમ કે મારું અભિમાન [રાખવાનું કારણ] કોઈ મિથ્યા કરે, એ કરતાં મરવું મારે માટે વધારે સારું છે.
16. જો હું સુવાર્તા પ્રગટ કરું, તો તેમાં મારે અભિમાન રાખવાનું કંઈ કારણ નથી, કેમ કે એમ કરવું મારી ફરજ છે; અને જો હું સુવાર્તા પ્રગટ ન કરું, તો મને અફસોસ છે.
17. કેમ કે જો હું રાજીખુશીથી તે [કરું], તો મને બદલો મળે છે, પણ જો રાજીખુશીથી ન [કરું], તો મને કારભાર સોંપવામાં આવ્યો છે.
18. માટે મને શો બદલો મળે છે? એ કે જ્યારે હું સુવાર્તા પ્રગટ કરું ત્યારે તે મફત પ્રગટ કરું, જેથી સુવાર્તા પ્રગટ કરીને મારો જે હક છે તેનો હું પૂરેપૂરો લાભ ન લઉં.
19. કેમ કે સર્વથી સ્વતંત્ર છતાં, ઘણા માણસોને [મંડળીમાં] લાવવા માટે, હું મારી જાતે સર્વનો દાસ થયો.
20. યહૂદીઓને મેળવવા માટે હું યહૂદીઓની સાથે યહૂદી જેવો થયો. હું પોતે નિયમાધીન ન છતાં નિયમાધીનોને લાવવા માટે નિયમાધીનોની સાથે નિયમાધીન જેવો થયો.
21. નિયમરહિતોને લાવવા માટે નિયમરહિત જેવો થયો.ઈશ્વર વિષે નિયમરહિત તો નહિ પણ ખ્રિસ્ત વિષે નિયમસહિત.
22. નિર્બળોને લાવવા માટે નિર્બળોની સાથે હું નિર્બળ જેવો થયો. હરકોઈ રીતે કેટલાકને તારવા માટે હું સર્વની સાથે સર્વના જેવો થયો.
23. હું [મારું સાંભળનારાઓનો] તેમાં સહભાગી થાઉં, એ માટે હું સુવાર્તાની ખાતર સર્વ કરું છું.
24. શું તમે નથી જાણતા કે શરતમાં દોડનાર સર્વ તો [ઇનામ મેળવવા] દોડે છે, તોપણ એકને જ ઇનામ મળે છે? એમ દોડો કે તમને મળે.
25. વળી દરેક પહેલવાન સર્વ પ્રકારે સ્વદમન કરે છે. તેઓ તો વિનાશી મુગટ મેળવવા માટે એમ [કરે] છે, પણ આપણે તો અવિનાશી [મુગટ મેળવવા] માટે.
26. તેથી હું એવી રીતે દોડું છું, પણ શંકા રાખનારની જેમ નહિ. હું મુકકીઓ મારું છું, પણ પવનને મારનારની જેમ નહિ.
27. પણ હું મારા દેહનું દમન કરું છું, તથા તેને વશ રાખું છું, રખેને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે નાપસંદ થાઉં.