નિર્ગમન 9 : 1 (IRVGU)
ત્યારે યહોવાહે મૂસાને કહ્યું, “ફારુનની પાસે જા અને તેને કહે કે, હિબ્રૂઓના ઈશ્વર યહોવા એમ કહે છે કે, 'મારા લોકોને મારું ભજન કરવા જવા દે.'
નિર્ગમન 9 : 2 (IRVGU)
હજુ પણ જો તું ના પાડશે અને તેઓને રોકી રાખશે તો ધ્યાનથી સાંભળી લે,
નિર્ગમન 9 : 3 (IRVGU)
હું ખેતરનાં તારાં જાનવરો એટલે ઘોડાઓમાં, ગધેડાંઓમાં, ઊંટોમાં, ગાયબળદોમાં અને ઘેટાંબકરાંઓમાં ભારે રોગચાળો ફેલાવીશ અને તને સજા કરીશ.
નિર્ગમન 9 : 4 (IRVGU)
પરંતુ હું ઇઝરાયલીઓનાં અને મિસરનાં જાનવરો વચ્ચે ભેદભાવ રાખીશ. જેથી ઇઝરાયલીઓનું એક પણ જાનવર મરશે નહિ.”
નિર્ગમન 9 : 5 (IRVGU)
“હું આવતી કાલે આ દેશમાં એનો અમલ કરીશ.”
નિર્ગમન 9 : 6 (IRVGU)
અને બીજે દિવસે સવારે મિસરમાં ઈશ્વરે પોતાના કહ્યા પ્રમાણે કર્યું, મિસરીઓનાં બધાં જાનવર મરી ગયાં પરંતુ ઇઝરાયલીઓનું એક પણ જાનવર મર્યું નહિ.
નિર્ગમન 9 : 7 (IRVGU)
ફારુને પોતાના માણસોને તપાસ કરવા મોકલ્યા કે ઇઝરાયલના લોકોનું એકે જાનવર મર્યું છે કે નહિ. તપાસ દ્વારા તેને જણાવવામાં આવ્યું કે ઇઝરાયલીઓનું એક પણ જાનવર મર્યું નથી. આટલું થયા છતાં ફારુને હઠાગ્રહ ચાલુ રાખ્યો. તેણે લોકોને જવા દીધા નહિ.
નિર્ગમન 9 : 8 (IRVGU)
યહોવાહે મૂસા અને હારુનને કહ્યું, “તમારા હાથમાં ભઠ્ઠીમાંથી મુઠ્ઠીઓ ભરીને રાખ લો અને મૂસા ફારુનના દેખતાં તેને હવામાં ઊંચે ઉડાડે.
નિર્ગમન 9 : 9 (IRVGU)
એ રાખની ઝીણી રજકણો આખા મિસર દેશમાં ફેલાઈ જશે. તેની અસરથી સમગ્ર મિસરના માણસો અને જાનવરોને શરીરે ગૂમડાં ફૂટી નીકળશે.”
નિર્ગમન 9 : 10 (IRVGU)
એટલે મૂસા અને હારુને ભઠ્ઠીમાંથી રાખ લીધી. પછી ફારુનની આગળ ઊભા રહીને મૂસાએ આકાશ તરફ રાખ ઉડાડી. તેના ફેલાવાથી માણસોને અને જાનવરોને ગૂમડાં થયાં.
નિર્ગમન 9 : 11 (IRVGU)
મિસરના જાદુગરો મૂસાને આવું કરતાં રોકી શક્યા નહિ, કારણ કે જાદુગરોને તથા બધા જ મિસરના લોકોને ગૂમડાં ફૂટી નીકળ્યાં હતાં.
નિર્ગમન 9 : 12 (IRVGU)
પરંતુ યહોવાહે ફારુનનું હૃદય હઠીલું બનાવ્યું. અને તેમણે કહ્યું હતું તે પ્રમાણે ફારુને મૂસાની અને હારુનની વાત સાંભળી નહિ.
નિર્ગમન 9 : 13 (IRVGU)
પછી યહોવાહે મૂસાને કહ્યું, “સવારમાં વહેલો ઊઠીને ફારુન પાસે જજે. અને તેને કહેજે કે, હિબ્રૂઓના ઈશ્વર યહોવા એવું કહે છે કે, 'મારા લોકોને મારું ભજન કરવા જવા દે.'
નિર્ગમન 9 : 14 (IRVGU)
જો તું નહિ જવા દે તો હું મારી બધી મરકીઓ તારા પર, તારા સરદારો પર અને તારા લોકો પર મોકલીશ. ત્યારે તને ખબર પડશે કે જગતમાં મારા જેવો અન્ય કોઈ ઈશ્વર નથી.”
નિર્ગમન 9 : 15 (IRVGU)
જો અત્યાર સુધીમાં મેં, તારા પર અને તારી પ્રજા પર મરકી મોકલીને તને સજા કરી હોત તો તું ભૂમિ ઉપરથી નષ્ટ થઈ ગયો હોત.
નિર્ગમન 9 : 16 (IRVGU)
પણ મેં તને એટલા માટે જીવતો રાખ્યો છે કે હું તને મારું પરાક્રમ બતાવું. અને સમગ્ર પૃથ્વી પર મારું નામ પ્રગટ થાય.
નિર્ગમન 9 : 17 (IRVGU)
શું તું હજુ પણ મારા લોકોની વિરુદ્ધ છે? તું મારા લોકો સાથે પોતાને ઊંચો રાખીને તેઓને જવા દેતો નથી?
નિર્ગમન 9 : 18 (IRVGU)
યાદ રાખજે, આવતી કાલે આ જ સમયે હું ભારે કરાનો એવો વરસાદ વરસાવીશ કે મિસરની સ્થાપનાથી આજ સુધી એવા કરા મિસરમાં કદીય વરસ્યા નથી.
નિર્ગમન 9 : 19 (IRVGU)
એટલે અત્યારે જ માણસો મોકલીને તારાં જાનવરોને તથા ખેતરમાં જે કોઈ હોય તે બધાંને સુરક્ષિત જગ્યાએ મંગાવી લેજે. કારણ જે કોઈ માણસ કે જાનવર ખેતરમાં હશે અને તેઓને ઘરમાં લાવવામાં આવ્યાં નહિ હોય, તેઓના પર કરા વરસશે અને તેઓ મરણ પામશે.
નિર્ગમન 9 : 20 (IRVGU)
ફારુનના કેટલાક અમલદારો યહોવાહની આ વાણી સાંભળીને ગભરાઈ ગયા. તેઓએ જલ્દીથી પોતાના ચાકરોને અને જાનવરોને ઘરમાં લાવી દીધાં.
નિર્ગમન 9 : 21 (IRVGU)
પણ જેઓએ યહોવાહની વાણીને ધ્યાનમાં લીધી નહિ તેઓએ પોતાના ગુલામોને અને જાનવરોને ખેતરમાં જ રહેવા દીઘાં.
નિર્ગમન 9 : 22 (IRVGU)
યહોવાહે મૂસાને કહ્યું, “તારા હાથ આકાશ તરફ લંબાવ, જેથી આખા મિસર દેશમાં માણસો, જાનવરો અને ખેતરની બધી વનસ્પતિ પર કરા પડે.”
નિર્ગમન 9 : 23 (IRVGU)
પછી મૂસાએ પોતાની લાકડી આકાશ ભણી ઊંચી કરી એટલે યહોવાહે ભારે ગર્જના સાથે જમીન પર કરા વરસાવ્યા. તે સાથે પૃથ્વી પર અગ્નિ ધસી આવ્યો અને આખા મિસર દેશ પર કર તૂટી પડયા.
નિર્ગમન 9 : 24 (IRVGU)
વરસતા કરાની સાથે વીજળી ઝબકારા મારતી હતી. મિસર દેશ સ્થપાયો ત્યારથી આજસુધી કદી ન પડયો હોય એવો ભારે કરાનો વરસાદ આખા દેશમાં પડયો.
નિર્ગમન 9 : 25 (IRVGU)
તેને લીધે મિસરના ખેતરોમાંની તમામ વનસ્પતિ અને પાકનો નાશ થઈ ગયો. અને કરાના કારણે આખા મિસર દેશમાં જે માણસો, જાનવરો, તથા ખેતરોમાં જે કાંઈ હતું તે બધાનો નાશ થયો. કરાએ ખેતરોમાંના દરેક છોડને તેમ જ ઝાડને નષ્ટ કર્યા.
નિર્ગમન 9 : 26 (IRVGU)
ફક્ત ગોશેન પ્રાંતમાં કે જ્યાં ઇઝરાયલીઓ રહેતા હતા ત્યાં કરા પડયા નહિ.
નિર્ગમન 9 : 27 (IRVGU)
પછી ફારુને મૂસા અને હારુનને બોલાવીને તેઓને કહ્યું, “આ વખતે મેં પાપ કર્યુ છે, યહોવા ન્યાયી છે. હું તથા મારી પ્રજા અપરાધી છીએ.
નિર્ગમન 9 : 28 (IRVGU)
તમે યહોવાહને અરજ કરો, કારણ કે આ કરા અને ભયંકર ગર્જનાથી અમે ત્રાસી ગયા છીએ. હું તમને જવા દઈશ, હવે તમારે અહીં રોકાવું નહિ પડે.”
નિર્ગમન 9 : 29 (IRVGU)
મૂસાએ ફારુનને કહ્યું, “હું નગરમાંથી બહાર જઈશ. ત્યારે હું પ્રાર્થના માટે યહોવાહની આગળ મારા હાથ લંબાવીશ. એટલે તરત વીજળીના કડાકા બંધ થઈ જશે. અને કરા પડવાનું પણ અટકી જશે. આ પરથી તને ખબર પડશે કે આખી પૃથ્વી પ્રભુની છે.
નિર્ગમન 9 : 30 (IRVGU)
પણ હું જાણું છું કે તું અને તારા અમલદારો તથા લોકો હજુ પણ યહોવાહથી ડરવાના નથી. અને તેમનું સન્માન પણ કરવાના નથી.”
નિર્ગમન 9 : 31 (IRVGU)
શણ અને જવનો ઘાણ વળી ગયો. કારણ કે જવ ઊગી નીકળ્યા હતા અને શણને ફૂલ બેઠાં હતાં.
નિર્ગમન 9 : 32 (IRVGU)
પરંતુ ઘઉં અને કઠોળ નષ્ટ થયા નહિ કારણ કે તેને પાકવાની વાર હતી.
નિર્ગમન 9 : 33 (IRVGU)
મૂસા ફારુનને છોડીને નગર બહાર આવ્યો. અને તેણે યહોવા સમક્ષ પોતાના હાથ લંબાવીને પ્રાર્થના કરી. એટલે કડાકા અને કરા બંધ થઈ ગયા.
નિર્ગમન 9 : 34 (IRVGU)
પછી જ્યારે ફારુને જોયું કે વર્ષા, કરા અને કડાકા બંધ થઈ ગયા એટલે ફરીથી તેણે અને તેના સરદારોએ પોતાના હૃદય હઠીલાં કર્યા.
નિર્ગમન 9 : 35 (IRVGU)
ફારુને લોકોને મુક્ત રીતે જવા દેવાની ના પાડી દીધી. યહોવાહે મૂસાને કહ્યું હતું તે પ્રમાણે જ થયું. ફારુન પાછો હઠે ભરાયો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35