યોહાન 12 : 1 (GUV)
પાસ્ખાપર્વના છ દિવસ અગાઉ ઈસુ બેથાનિયા આવ્યા; લાજરસ, જેને ઈસુએ મરી ગયેલાંઓમાંથી ઉઠાડયો હતો, તે ત્યાં હતો.
યોહાન 12 : 2 (GUV)
માટે તેઓએ તેમને માટે ત્યાં વાળું કર્યું. તે વખતે માર્થા સરભરા કરતી હતી; અને તેમની સાથે જેઓ જમવા બેઠા હતા તેઓમાં લાજરસ પણ હતો.
યોહાન 12 : 3 (GUV)
તે સમયે મરિયમે ઘણું મૂલ્યવાન જટામાંસીનું એક શેર અત્તર લઈને ઈસુને પગે ચોળ્યું, અને પોતાને ચોટલે તેમના પગ લૂછયા; અત્તરની સુગંધ આખા ઘરમાં પ્રસરી રહી.
યોહાન 12 : 4 (GUV)
પણ તેમના શિષ્યોમાંનો એક, યહૂદા ઇશ્કારિયોત, જે તેમને પરસ્વાધીન કરનાર હતો, તે કહે છે,
યોહાન 12 : 5 (GUV)
“એ અત્તર ત્રણસો દીનારે વેચીને [તે પૈસા] ગરીબોને શા માટે આપવામાં આવ્યા નહિ?”
યોહાન 12 : 6 (GUV)
હવે ગરીબોને માટે તેને લાગણી હતી એ કારણથી તેણે આમ કહ્યું ન હોતું. પણ તે ચોર હતો, અને થેલી રાખતો હતો, અને તેમાં જે નાખવામાં આવતું તે તે ચોરી લેતો હતો તે માટે કહ્યું.
યોહાન 12 : 7 (GUV)
ત્યારે ઈસુએ કહ્યું, “મને દફન કરવાના દિવસને માટે તેને એ રાખવા દે.
યોહાન 12 : 8 (GUV)
કેમ કે, ગરીબો તો સદા તમારી સાથે છે, પણ હું સદા તમારી સાથે નથી.”
યોહાન 12 : 9 (GUV)
જ્યારે યહૂદીઓમાંના ઘણા લોકોને ખબર પડી કે તે ત્યાં છે, ત્યારે તેઓ એકલા ઈસુને લીધે નહિ, પણ લાજરસ જેને તેમણે મરી ગયેલામાંથી ઉઠાડયો હતો, તેને પણ જોવા માટે ત્યાં આવ્યા.
યોહાન 12 : 10 (GUV)
પણ મુખ્ય યાજકોએ લાજરસને પણ મારી નાખવાની મસલત કરી,
યોહાન 12 : 11 (GUV)
કેમ કે તેના કારણથી ઘણા યહૂદીઓ ચાલ્યા ગયા, અને ઈસુ પર વિશ્વાસ કર્યો.
યોહાન 12 : 12 (GUV)
બીજે દિવસે પર્વમાં આવેલા ઘણા લોકોએ સાંભળ્યું કે, ઈસુ યરુશાલેમ આવે છે;
યોહાન 12 : 13 (GUV)
ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને તેઓ તેમને મળવાને બહાર આવ્યા. તેઓએ પોકારીને કહ્યું, “હોસાન્‍ના; પ્રભુને નામે ઇઝરાયલના જે રાજા આવે છે, તેમને ધન્ય છે!”
યોહાન 12 : 14 (GUV)
ઈસુને એક ગધેડાનો વછેરો મળી આવ્યો, અને તેના પર તે બેઠા. જેમ લખેલું છે તેમ, એટલે કે,
યોહાન 12 : 15 (GUV)
“ઓ સિયોનની દીકરી, ગભરાઈશ નહિ. જો, તારો રાજા ગધેડાના વછેરા પર બેસીને આવે છે.”
યોહાન 12 : 16 (GUV)
પ્રથમ તેમના શિષ્યો એ વાતો સમજ્યા ન હતા, પણ ઈસુ મહિમાવાન થયા, ત્યારે તેઓને યાદ આવ્યું કે, તેમના સંબંધી એ વાતો લખેલી છે, અને તે જ પ્રમાણે તેઓએ તેમને માટે કર્યું હતું.
યોહાન 12 : 17 (GUV)
તેમણે લાજરસને કબરમાંથી બોલાવ્યો, અને મરી ગયેલાંઓમાંથી ઉઠાડયો, તે વખતે જે લોકો તેમની સાથે હતા, તેઓએ સાક્ષી આપી.
યોહાન 12 : 18 (GUV)
તેમણે એ ચમત્કાર કર્યો હતો એવું તેઓએ સાંભળ્યું હતું, તે કારણથી પણ લોકો તેમને મળવા ગયા.
યોહાન 12 : 19 (GUV)
તે માટે ફરોશીઓએ અંદરોઅંદર કહ્યું, “જુઓ, તમારું તો કંઈ વળતું નથી; જુઓ આખું જગત તેમની પાછળ ગયું છે.”
યોહાન 12 : 20 (GUV)
હવે જેઓ પર્વમાં ભજન કરવાને આવ્યા હતા, તેઓમાંના કેટલાક ગ્રીક લોકો હતા.
યોહાન 12 : 21 (GUV)
માટે તેઓએ ગાલીલના બેથસાઈદાના ફિલિપની પાસે આવીને તેને વિનંતી કરી, “સાહેબ, અમે ઈસુનાં દર્શન કરવા ચાહીએ છીએ.”
યોહાન 12 : 22 (GUV)
ફિલિપ આવીને આન્દ્રિયાને કહે છે; અને આન્દ્રિયા તથા ફિલિપ આવીને ઈસુને કહે છે.
યોહાન 12 : 23 (GUV)
ત્યારે ઈસુ તેઓને ઉત્તર આપે છે, “માણસના દીકરાને મહિમાવાન થવાની ઘડી આવી છે.
યોહાન 12 : 24 (GUV)
હું તમને ખચીત ખચીત કહું છું, જો ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી નહિ જાય, તો તે એકલો રહે છે. પણ જો તે મરી જાય, તો તે ઘણાં ફળ આપે છે.
યોહાન 12 : 25 (GUV)
જે કોઈ પોતાના જીવ પર પ્રેમ રાખે છે, તે તેને ખુએ છે; અને જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે, તે અનંતજીવનને માટે તેને બચાવી રાખશે.
યોહાન 12 : 26 (GUV)
જો કોઈ મારી સેવા કરતો હોય, તો તેણે મારી પાછળ ચાલવું; અને જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે. જો કોઈ મારી સેવા કરતો હોય, તો પિતા તેને માન આપશે.
યોહાન 12 : 27 (GUV)
હવે મારો જીવ વ્યાકુળ થયો છે; હું શું કહું? હે પિતા, મને આ ઘડીથી બચાવો. પણ એ જ કારણને લીધે તો હું આ ઘડી સુધી આવ્યો છું.
યોહાન 12 : 28 (GUV)
હે પિતા, તમારા નામનો મહિમા [પ્રગટ] કરો.” ત્યારે એવી આકાશવાણી થઈ કે, “મેં તેનો મહિમા [પ્રગટ] કર્યો છે, અને ફરી કરીશ.”
યોહાન 12 : 29 (GUV)
ત્યારે જે લોકોએ પાસે ઊભા રહીને તે સાંભળ્યું હતું, તેઓએ કહ્યું, “ગર્જના થઈ.” બીજાઓએ કહ્યું, “દૂતે તેમની સાથે વાત કરી.”
યોહાન 12 : 30 (GUV)
ઈસુએ ઉત્તર આપ્યો, “એ વાણી મારે માટે નહિ, પણ તમારે માટે થઈ છે.
યોહાન 12 : 31 (GUV)
હવે આ જગતનો ન્યાય કરવામાં આવે છે. હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે.
યોહાન 12 : 32 (GUV)
જો મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે, તો હું સર્વને મારી તરફ ખેંચીશ.”
યોહાન 12 : 33 (GUV)
પણ પોતાનું મૃત્યુ શી રીતે થવાનું છે, એ સૂચવીને તેમણે આ પ્રમાણે કહ્યું.
યોહાન 12 : 34 (GUV)
એ માટે લોકોએ તેમને ઉત્તર આપ્યો, “ખ્રિસ્ત સદા રહેશે, એમ અમે નિયમશાસ્‍ત્રમાંથી સાંભળ્યું છે; તો માણસનો દીકરો ઊંચો કરાવો જોઈએ, એમ તમે કેમ કહો છો? એ માણસનો દીકરો કોણ છે?”
યોહાન 12 : 35 (GUV)
ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હજી થોડીવાર તમારી પાસે પ્રકાશ છે. જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે, ત્યાં સુધી ચાલો, રખેને તમારા પર અંધકાર આવી પડે. અને અંધકારમાં જે ચાલે છે તે પોતે ક્યાં જાય છે તે તે જાણતો નથી.
યોહાન 12 : 36 (GUV)
જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે, ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ રાખો, જેથી તમે પ્રકાશના દીકરા થાઓ.” એ વાતો કહીને ઈસુ ચાલ્યા ગયા, અને તેઓનાથી સંતાઈ રહ્યા.
યોહાન 12 : 37 (GUV)
તેમણે આટલા બધા ચમત્કારો તેઓના જોતાં કર્યા હતા, તોપણ તેઓએ તેમના પર વિશ્વાસ કર્યો નહિ.
યોહાન 12 : 38 (GUV)
યશાયા પ્રબોધકનું વચન પૂરું થાય કે, ‘પ્રભુ, અમને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે? અને પ્રભુનો હાથ કોની આગળ પ્રગટ થયેલો છે?’ યશાયા પ્રબોધકનું એ વચન પૂરું થાય,
યોહાન 12 : 39 (GUV)
માટે તેઓ વિશ્વાસ કરી શક્યા નહિ. કેમ કે યશાયાએ વળી કહ્યું હતું,
યોહાન 12 : 40 (GUV)
“તેઓ આંખોથી ન જુએ, અને અંત:કરણથી ન સમજે, અને પાછા ન ફરે, અને હું તેઓને સારાં ન કરું, માટે તેમણે તેઓની આંખો આંધળી કરી છે, અને તેઓનાં મન જડ કર્યાં છે.”
યોહાન 12 : 41 (GUV)
યશાયાએ તેમનો મહિમા જોયો તે કારણથી તેણે એ વાતો કહી, અને તે તેમને વિષે બોલ્યો.
યોહાન 12 : 42 (GUV)
તોપણ અધિકારીઓમાંના પણ ઘણાએ તેમના પર વિશ્વાસ કર્યો; પણ રખેને ફરોશીઓ અમને સભાસ્થાનમાંથી કાઢી મૂકે [એવી બીકથી] તેઓએ તેમને કબૂલ ન કર્યા.
યોહાન 12 : 43 (GUV)
કેમ કે ઈશ્વર તરફથી થતી પ્રશંસા કરતાં તેઓ માણસોના તરફથી થતી પ્રશંસાને વધારે ચાહતા હતા.
યોહાન 12 : 44 (GUV)
ત્યારે ઈસુએ પોકારીને કહ્યું, “મારા પર જે વિશ્વાસ રાખે છે, તે એકલા મારા પર નહિ, પણ જેમણે મને મોકલ્યો છે, તેમના પર વિશ્વાસ રાખે છે.
યોહાન 12 : 45 (GUV)
વળી જે મને જુએ છે, તે જેમણે મને મોકલ્યો છે તેમને જુએ છે.
યોહાન 12 : 46 (GUV)
જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે તે અંધારામાં ન રહે, માટે જગતમાં હું પ્રકાશરૂપે આવ્યો છું.
યોહાન 12 : 47 (GUV)
જો કોઈ મારી વાતો સાંભળ્યા છતાં તેમને પાળતો નથી, તો હું તેનો ન્યાય કરતો નથી; કેમ કે હું જગતનો ન્યાય કરવા માટે નહિ, પણ જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું.
યોહાન 12 : 48 (GUV)
જે મારો અસ્વીકાર કરે છે, અને મારી વાતો માનતો નથી, તેનો ન્યાય કરનાર એક છે. જે વાત મેં કહી, તે જ છેલ્લે દિવસે તેનો ન્યાય કરશે.
યોહાન 12 : 49 (GUV)
કેમ કે મેં મારા પોતાના તરફથી કહ્યું નથી. પણ મારે શું કહેવું, અને મારે શું બોલવું, એ વિષે જે પિતાએ મને મોકલ્યો છે તેમણે મને આજ્ઞા આપી છે.
યોહાન 12 : 50 (GUV)
તેમની આજ્ઞા અનંતજીવન છે, એ હું જાણું છું. તે માટે જે કંઈ હું બોલું છું, તે જેવું પિતાએ મને કહ્યું છે તેવું જ હું બોલું છું.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50

BG:

Opacity:

Color:


Size:


Font: