ચર્મિયા 9 : 1 (GUV)
મારું માથું જળાશય હોય તો કેવું સારું! મારી આંખો આંસુના ઝરણાં હોય તો કેવું સારું! હું સદાકાળ ચિંતા કર્યા કરું; મારા લોકોની હત્યાઓ માટે હું રાત-દિવસ કલ્પાંત કર્યા કરું!
ચર્મિયા 9 : 2 (GUV)
અરે, હું તેઓથી દૂર ચાલ્યો જાઉં અને તેઓને વીસરી જાઉં અને અરણ્યમાં મને રહેવા માટે કોઇ ઝૂંપડી મળી જાય ને, તો હું મારા લોકોને છોડીને ત્યાં ચાલ્યો જાઉં! એ બધા બેવફા લોકો છે, દગાબાજોની ટોળકી છે.
ચર્મિયા 9 : 3 (GUV)
યહોવા કહે છે, “તેઓ ધનુષ્યની માફક પોતાની જીભ વાળીને પોતાનાં અસત્યના બાણો ફેંકે છે. તેઓ સત્યની પરવા કરતા નથી અને તેઓ વધુ ને વધુ દુષ્ટ બનતા જાય છે; તેઓ મારી પણ પરવા કરતા નથી.”
ચર્મિયા 9 : 4 (GUV)
“પ્રત્યેક જણ પોતાના મિત્રથી સાવધ રહેજો, ભાઇનો પણ વિશ્વાસ ન કરતા, કારણ, એકેએક ભાઇ યાકૂબ જેવો દગાબાજ છે.
ચર્મિયા 9 : 5 (GUV)
અને એકેએક મિત્ર પોતાના મિત્રની નિંદાત્મક જૂઠી વાતો ફેલાવે છે. દરેક જણ પોતાના મિત્રને છેતરે છે, કોઇ સાચું બોલતું નથી, તેમની જીભ જૂઠું બોલવા ટેવાઇ ગઇ છે.
ચર્મિયા 9 : 6 (GUV)
તેઓ ખોટે માગેર્ ચડી ગયા છે, પાછા ફરી શકે એમ નથી, અન્યાય પર અન્યાય અને છેતરપિંડી ઉપર છેતરપિંડી કર્યા જ જાય છે! મારી પાસે આવવાનો સંપૂર્ણ ઇન્કાર કરે છે.” આ યહોવાના વચન છે.
ચર્મિયા 9 : 7 (GUV)
તેથી સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું તેઓને દુ:ખરૂપી કુલડીમાં ઓગાળીશ. હું તેઓને શુદ્ધ કરીશ અને ધાતુની જેમ હું તેઓની પરીક્ષા કરીશ, આ સિવાય તેઓને માટે હું બીજું શું કરું?
ચર્મિયા 9 : 8 (GUV)
તેમની જીભ જીવલેણ બાણ જેવી છે, તેઓ જૂઠાણું જ ઉચ્ચારે છે. બધા મોઢે મીઠું બોલે છે, પણ મનમાં એકબીજાને ફસાવવાના ઘાટ ઘડે છે.”
ચર્મિયા 9 : 9 (GUV)
યહોવા પૂછે છે, “આ બધા માટે મારે તેમને શું સજા ન કરવી? આવી પ્રજા પર શું મારો આત્મા વૈર નહિ લે?”
ચર્મિયા 9 : 10 (GUV)
હું તેઓના પર્વતો અને ઘાસચારાના બીડો માટે વિલાપ અને રૂદન કરતાં કરતાં તેમની તરફ નજર કરું છું; તેઓ ઉજ્જડ થઇ ગયા છે, તેમાં કોઇ જીવતું રહ્યું નથી. ઢોરનો અવાજ સંભળાતો નથી અને પક્ષીઓ તથા જંગલી પ્રાણીઓ પણ ત્યાં નથી; સર્વ નાસી ગયા છે.
ચર્મિયા 9 : 11 (GUV)
યહોવાએ કહ્યું, “યરૂશાલેમને હું ખંડેરોનો ઢગલો બનાવી દઇશ, શિયાળોની બોડ બનાવી દઇશ, અને હું યહૂદિયાના શહેરોને નિર્જન વગડામાં ફેરવી નાખીશ.”
ચર્મિયા 9 : 12 (GUV)
મેં પૂછયું, “યહોવા, કોણ એવો શાણો છે જે આ સર્વ સમજી શકે? તે સમજાવનાર યહોવાનો સંદેશાવાહક ક્યાં છે? વળી આ દેશ શા માટે અરણ્ય જેવો થઇ ગયો છે કે તેમાં થઇને મુસાફરી કરવાની કોઇ હિંમત કરતું નથી?
ચર્મિયા 9 : 13 (GUV)
યહોવાએ કહ્યું, “એનું કારણ એ છે કે લોકોએ એમને માટે મેં રજૂ કરેલી નિયમસંહિતાનો ત્યાગ કર્યો છે. તેમણે નથી મારું કહ્યું સાંભળ્યું કે નથી તેનું પાલન કર્યું.
ચર્મિયા 9 : 14 (GUV)
તેના બદલે તેઓએ પોતાને ગમ્યું તે કર્યું છે. અને તેઓના પિતૃઓએ શીખવ્યા પ્રમાણે બઆલની મૂર્તિઓની પૂજા કરી છે.”
ચર્મિયા 9 : 15 (GUV)
આથી હું, ઇસ્રાએલનો દેવ, સૈન્યોનો દેવ યહોવા કહું છું કે, “હવે હું આ લોકોને ખાવા માટે કડવી વેલ અને પીવા માટે ઝેર આપવાનો છું.
ચર્મિયા 9 : 16 (GUV)
હું તેમને સમગ્ર વિશ્વમાં વિખેરી નાખીશ, તેઓ દૂરના દેશોમાં વિદેશીઓ જેવા થશે; ત્યાં પણ વિનાશકારી તરવાર તેઓનો પીછો કરશે. આમ તેઓનો સંપૂર્ણ નાશ થશે.”
ચર્મિયા 9 : 17 (GUV)
સૈન્યોનો દેવ યહોવા કહે છે, “પરિસ્થિતિઓનો વિચાર કરીને દુ:ખનાં ગીતો ગાનારીઓને બોલાવો. દુ:ખનાં ગીતો ગાવામાં જે પારંગત હોય તેને બોલાવો;
ચર્મિયા 9 : 18 (GUV)
જલદી કરો, તેમને કહો કે આપણે માટે જલ્દી દુ:ખનાં ગીતો ગાય, જેથી આપણી આંખોમાં ચોધાર આંસુ વહે અને આપણી પાંપણો ભીંજાઇ જાય.’
ચર્મિયા 9 : 19 (GUV)
સિયોનમાં વિલાપના સ્વર સંભળાય છે: ‘આપણો વિનાશ કેટલો ભયંકર છે! આપણે કેવા શરમિંદા થવું પડ્યું? આપણને આપણી ભૂમિ છોડવાની ફરજ પડી, કારણ કે તેઓએ આપણા ઘરોને તોડી પાડયા છે.”‘
ચર્મિયા 9 : 20 (GUV)
પરંતુ હે વિલાપ કરનારી સ્ત્રીઓ, દેવનો સંદેશો સાંભળો. તે શું કહે છે તે ધ્યાનથી સાંભળો; “તમારી પુત્રીઓને અને તમારી પડોશણોને મરશિયા ગાતાં શીખવો.
ચર્મિયા 9 : 21 (GUV)
‘મૃત્યુ આપણી બારીઓમાં થઇને આપણી હવેલીઓમાં અંદર ઊતર્યું છે. અને આપણા બાળકોને વધેરી નાખ્યા છે. તેઓ હવે રસ્તા પર રહ્યાં નથી, અને તરુણો જાહેર ચોકમાં રહ્યાં નથી.”‘
ચર્મિયા 9 : 22 (GUV)
યહોવા કહે છે: “તેઓને આ પ્રમાણે કહો, ‘ખેતરમાં ખાતરની માફક તથા કાપણી કરનારની પાછળ કલ્લા પડે છે તેની માફક મૃત શરીરો ખેતરોમાં વિખરાયેલા હશે. અને તેઓને દફનાવનાર કોઇ હશે નહિ.”‘
ચર્મિયા 9 : 23 (GUV)
યહોવા કહે છે, “જ્ઞાનીએ પોતાના જ્ઞાનની કે બળવાને પોતાના બળની કે ધનવાને પોતાના ધનની બડાશ મારી અભિમાન કરવું જોઇએ નહિ.
ચર્મિયા 9 : 24 (GUV)
પરંતુ તેઓ ફકત આ એક બાબતમાં અભિમાન કરે કે તેઓ મને સાચે જ ઓળખે છે અને સમજે છે કે હું નિષ્પક્ષ અને ન્યાયી યહોવા છું અને મારી પ્રીતિ અવિચળ છે કારણ કે આ જ મને પસંદ છે.” આ યહોવાના વચન છે.
ચર્મિયા 9 : 25 (GUV)
યહોવા કહે છે કે, “એવો સમય આવે છે કે જ્યારે હું સર્વ બે સુન્નતીઓને શિક્ષા કરીશ;
ચર્મિયા 9 : 26 (GUV)
જ્યારે મિસર, યહૂદિયા, અદોમ, આમ્મોન, અને મોઆબના વતનીઓને તેમજ જેઓ રણમાં ભટકતા ફરે છે અને તે બધાં જેઓ પોતાના વાળના ખૂણાઓ કાપે છે તેમને હું સજા કરનાર છું. કારણ, આ બધી પ્રજાઓની સુન્નત થઇ નથી અને ઇસ્રાએલીઓના હૃદય સુન્નત થયા નથી.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26

BG:

Opacity:

Color:


Size:


Font: