ચર્મિયા 5 : 1 (GUV)
યરુશાલેમના મહોલ્લાઓમાં આમતેમ ફરો, અને જુઓ ને જાણો, ને તેના ચોકોમાં શોધો, ન્યાય કરનાર અને સત્યને માર્ગે ચાલનાર એવો કોઈ પુરુષ મળે, એવો એક પણ હોય, તો હું તેને ક્ષમા કરીશ.
ચર્મિયા 5 : 2 (GUV)
જો કે, જીવતા યહોવાના સમ, એમ કહીને તેઓ સોગન ખાય છે; તોપણ ખરેખર તેઓ જૂઠા સમ ખાય છે.”
ચર્મિયા 5 : 3 (GUV)
હે યહોવા, તમારી આંખો સત્યની તરફ નથી? તમે તેઓને માર્યા છે, પણ તેઓ દુ:ખી થયા નહિ. તમે તેઓને પાયમાલ કર્યા છે, પણ શિક્ષા થયા છતાં તેઓ સુધર્યા નથી; તેઓએ પોતાનાં મુખ ખડક કરતાં કઠણ કર્યાં છે; તેઓ [તમારી તરફ] ફરવા ના કહે છે.
ચર્મિયા 5 : 4 (GUV)
મેં વિચાર્યું ખરેખર તેઓ સામાન્ય [લોકો] છે; તેઓ મૂર્ખ છે, કેમ કે તેઓ યહોવાનો માર્ગ અને પોતાના ઈશ્વરની ધર્મનીતિ જાણતા નથી.
ચર્મિયા 5 : 5 (GUV)
હું ખાનદાન માણસોની પાસે જઈને તેઓની સાથે વાત કરીશ, કેમ કે તેઓ યહોવાનો માર્ગ અને પોતાના ઈશ્વરની ધર્મનીતિ જાણે છે.” પણ તેઓએ સર્વાનુમતે ઝૂંસરી ભાંગી નાખી છે અને જોતરો તોડી નાખ્યાં છે.
ચર્મિયા 5 : 6 (GUV)
તે માટે વનમાંનો સિંહ તેઓને મારી નાખશે, અરણ્યમાં વરુ તેઓને ફાડી ખાશે, ચિત્તો તેઓનાં નગરો પર તાકી રહેશે, જે કોઈ તેમાંથી બહાર આવશે તેને તેઓ ફાડી નાખશે. કેમ કે તેઓના અપરાધો ઘણાં થયા છે, તેઓનાં ફિતૂરી કામો વધ્યાં છે.
ચર્મિયા 5 : 7 (GUV)
“હું કેમ કરીને તને ક્ષમા કરી શકું? તારા પુત્રોએ મારો ત્યાગ કર્યો છે, ને જેઓ ઈશ્વર નથી તેઓના સમ ખાધા છે; મેં તેઓને [ખવડાવીને] તૃપ્ત કર્યા હતા, ત્યારે તેઓએ વ્યભિચાર કર્યો, અને વેશ્યાઓનાં ઘરોમાં [તેઓનાં ટોળેટોળાં] ભેગાં થયાં.
ચર્મિયા 5 : 8 (GUV)
તેઓ સવારે મસ્ત ઘોડાઓના જેવા હતા; દરેક પોતાના પડોશીની સ્ત્રીને જોઈને ખોંખારા કરતો.
ચર્મિયા 5 : 9 (GUV)
તે બધી બાબતોને માટે તેમને હું જોઈ નહિ લઉં શું?” એમ યહોવા કહે છે; “અને મારો જીવ એવી પ્રજા પર વૈર નહિ લે શું?
ચર્મિયા 5 : 10 (GUV)
તેના કોટ પર ચઢો, ને તેનો નાશ કરો; પણ સંપૂર્ણ નાશ કરશો નહિ: તેની ડાંખળીઓ લઈ જાઓ, કેમ કે તેઓ યહોવાની નથી.
ચર્મિયા 5 : 11 (GUV)
કેમ કે ઇઝરાયલના વંશ તથા યહૂદાના વંશે મારો ઘણો વિશ્વાસઘાત કર્યો છે, ” એવું યહોવા કહે છે.
ચર્મિયા 5 : 12 (GUV)
તેઓએ યહોવાનો નકાર કર્યો છે, ને કહ્યું છે, “આ તો [યહોવાની વાત] નથી! અમારા પર વિપત્તિ આવશે નહિ. અને અમે તરવાર તથા દુકાળ જોઈશું નહિ.
ચર્મિયા 5 : 13 (GUV)
પ્રબોધકો તો વાયુરૂપ થઈ જશે, [પ્રભુનું] વચન તેઓમાં નથી. તેઓની પોતાની ગતિ એવી થશે.”
ચર્મિયા 5 : 14 (GUV)
તમે આવી વાત કરો છો તે માટે, સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જુઓ, હું તારા મુખમાં મારા વચનો અગ્નિરૂપ કરીશ, તથા આ લોકોને બળતણરૂપ કરીશ, તે તેઓને ખાઈ જશે.”
ચર્મિયા 5 : 15 (GUV)
યહોવા કહે છે, “જુઓ, હે ઇઝરાયલના વંશ, હું તમારા પર દૂરથી એક પ્રજા લાવીશ. તે તો પરાક્રમી પ્રજા છે, તે પુરાતન પ્રજા છે, તેની ભાષા તું જાણતો નથી, ને તે જે બોલે છે તે તું સમજતો નથી.
ચર્મિયા 5 : 16 (GUV)
તેઓનો ભાથો ઉઘાડી કબર છે, તેઓ સર્વ શૂરવીરો છે.
ચર્મિયા 5 : 17 (GUV)
તારાં પુત્રપુત્રીઓના ઉપયોગને માટે જે તારો પાક તથા અન્ન છે તે તેઓ ખાઈ જશે. તેઓ તારાં ઘેટાં તથા તારાં ઢોરઢાંકને ખાઈ જશે. તેઓ તારી દ્રાક્ષા તથા તારી અંજીરી [નાં ફળ] ને ખાઈ જશે. તારાં જે કિલ્લાબંધ નગરો પર તું ભરોસો રાખે છે, તેઓને તે યુદ્ધશસ્ત્રથી પાડી નાખશે.
ચર્મિયા 5 : 18 (GUV)
તોપણ તે સમયમાં હું તમારો સંપૂર્ણ નાશ કરીશ નહિ, એવું યહોવા કહે છે.”
ચર્મિયા 5 : 19 (GUV)
જ્યારે તમે પૂછશો, “અમારા ઈશ્વર યહોવાએ અમને એ બધું [દુ:ખ] કેમ આપ્યું છે?” ત્યારે તું તેઓને કહેજે, “જેમ તમે મારો ત્યાગ કરીને તમારા દેશમાં પારકા દેવની સેવા કરી છે, તેમ જે દેશ તમારો નથી તેમાં તમે પારકાઓની સેવા કરશો.”
ચર્મિયા 5 : 20 (GUV)
યાકૂબના વંશજોને આ કહી સંભળાવો, ને યહૂદિયામાં આ પ્રગટ કરો:
ચર્મિયા 5 : 21 (GUV)
“હે મૂર્ખ અને બેવકૂફ લોકો, તમે આંખો છતાં જોતા નથી, અને કાનો છતાં સાંભળતા નથી, હવે તમે આ સાંભળો:
ચર્મિયા 5 : 22 (GUV)
યહોવા કહે છે શું તમે મારાથી બીતા નથી? શું તમે મારી આગળ નહિ ધ્રૂજશો? મેં હંમેશને માટે સમુદ્રને માટે રેતીની મર્યાદા ઠરાવી છે કે, તે તેને ઓળંગી શકે નહિ.
ચર્મિયા 5 : 23 (GUV)
પણ આ લોકનું હ્રદય બંડખોર તથા બળવાખોર છે; તેઓ બંડ કરીને ગયા છે.
ચર્મિયા 5 : 24 (GUV)
‘આપણા ઈશ્વર યહોવા, જે યોગ્ય સમયે પહેલો તથા છેલ્લો વરસાદ આપે છે, જે આપણે માટે કાપણીના નીમેલા સપ્તાહો રાખી મૂકે છે, તેનાથી આપણે બીહીએ’ એમ તો પોતાના હ્રદયમાં કહેતા નથી.
ચર્મિયા 5 : 25 (GUV)
એ [કૃપાદાનો] તો તમારા અન્યાયોએ દૂર કર્યાં છે, ને તમારાં પાપોએ તમારું હિત રોકી રાખ્યું છે.
ચર્મિયા 5 : 26 (GUV)
કેમ કે મારા લોકોમાં દુષ્ટો દેખાય છે; જેમ પારધીઓ ગુપ્ત રહીને તાકે છે તેમ તેઓ તાકીને જુએ છે. તેઓ મનુષ્યને પકડવાને માટે છટકું માંડે છે.
ચર્મિયા 5 : 27 (GUV)
જેમ પાંજરું પક્ષીઓથી ભરેલું છે, તેમ તેઓનાં ઘરો કપટથી [મેળવેલા દ્રવ્યથી] ભરેલાં છે. તેથી તેઓ મોટા અને દ્રવ્યવાન થયા છે.
ચર્મિયા 5 : 28 (GUV)
તેઓ પુષ્ટ તથા તેજસ્વી થયા છે. વળી તેઓ દુષ્ટ કર્મો કરતાં હદબહાર જાય છે. તેઓ દાદ, અનાથોની દાદ, સાંભળતા નથી, છતાં તેઓ આબાદ થાય છે. અને દરિદ્રીઓનો હક તેઓ ધ્યાનમાં લેતા નથી.
ચર્મિયા 5 : 29 (GUV)
(યહોવા કહે છે, ) એ બધી બાબતો માટે શું હું તેઓને જોઈ નહિ લઈશ? મારો જીવ એવી પ્રજા પર વૈર નહિ લે?
ચર્મિયા 5 : 30 (GUV)
ઘોર તથા ભયંકર વાત દેશમાં બની છે:
ચર્મિયા 5 : 31 (GUV)
પ્રબોધકો જૂઠું બોલે છે, ને તેઓના કહ્યા પ્રમાણે યાજકો અધિકાર ચલાવે છે અને મારા લોકને એ ગમે છે; પણ છેવટે તમે શું કરશો?”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

BG:

Opacity:

Color:


Size:


Font: