નિર્ગમન 5 : 1 (GUV)
ત્યાર પછી મૂસા તથા હારુને આવીને ફારુનને કહ્યું, “યહોવા ઇઝરાયલના ઈશ્વર એમ કહે છે, ‘મારા લોકને અરણ્યમાં મારે કાજે પર્વ પાળવા માટે જવા દે.’
નિર્ગમન 5 : 2 (GUV)
ત્યારે ફારુને કહ્યું, “યહોવા કોણ છે કે, હું તેની વાણી માનીને ઇઝરાયલીઓને જવા દઉં, ”
નિર્ગમન 5 : 3 (GUV)
અને તેઓએ કહ્યું, “હિબ્રુઓના ઈશ્વરનો અમને મેળાપ થયો છે. અમારા ઈશ્વર યહોવાને માટે યજ્ઞ કરવા માટે ત્રણ દિવસની મજલ જેટલે અરણ્યમાં અમને જવા દો. રખેને તે મરકી કે તરવારરૂપે અમારા ઉપર આવી પડે.”
નિર્ગમન 5 : 4 (GUV)
ત્યારે મિસરના રાજાએ તેઓને કહ્યું, “મૂસા તથા હારુન, તમે લોકોને તેઓનાં કામમાં કેમ મોડું કરાવો છો? તમે તમારી વેઠ કરવા જાઓ”
નિર્ગમન 5 : 5 (GUV)
અને ફારુને કહ્યું, “જુઓ, હાલ આ દેશનાં માણસો ઘણાં વધી ગયાં છે, ને તમે તેમને તેમની વેઠથી વિસામો ખવડાવો છો.”
નિર્ગમન 5 : 6 (GUV)
અને ફારુને તે જ દિવસે લોકોના મુકાદમોને તથા તેઓના ઉપરીઓને હુકમ કર્યો,
નિર્ગમન 5 : 7 (GUV)
“તમારે એ લોકોને પહેલાંની જેમ ઈંટો પાડવા માટે પરાળ આપવું નહિ; તેઓ જઈને પોતાને માટે પરાળ વીણી ભેગું કરે.
નિર્ગમન 5 : 8 (GUV)
પણ તેઓ આજ સુધી જેટલી ઈંટો પાડતા હતા તેટલી જ ઈંટો પાડવાની તેમને ફરજ પાડો; તેમાંથી કંઈ કમી કરશો નહિ; કેમ કે તેઓ આળસુ છે; એટલે તેઓ પોકાર કરીને કહે છે, ‘અમારા ઈશ્વરની આગળ યજ્ઞ કરવા માટે અમને જવા દો.’
નિર્ગમન 5 : 9 (GUV)
તે માણસોને માથે વધારે સખત કામ નાખો કે તેમાં તેઓ મથ્યા કરે, ને જૂઠી વાતો ગણકારે નહિ.”
નિર્ગમન 5 : 10 (GUV)
અને લોકોના મુકાદમોએ તથા તેઓના ઉપરીઓએ ત્યાંથી જઈને લોકોને કહ્યું, “ફારુન એમ કહે છે, ‘હું તમને પરાળ આપીશ નહિ,
નિર્ગમન 5 : 11 (GUV)
તમે જઈને જ્યાંથી તમને મળે ત્યાંથી તમારે માટે પરાળ લઈ આવો; પણ તમારું કામ કંઈ કમી કરવામાં આવશે નહિ.’”
નિર્ગમન 5 : 12 (GUV)
ત્યારે તે લોકો પરાળને બદલે ખૂંપરા વીણવાને આખા મિસર દેશમાં ફેલાઈ ગયા.
નિર્ગમન 5 : 13 (GUV)
અને મુકાદમોએ તાકીદ કરતાં તેઓને કહ્યું, “પરાળ મળતું હતું ત્યારની જેમ તમારું કામ એટલે રોજની તમારી નીમેલી વેઠ બજાવો.”
નિર્ગમન 5 : 14 (GUV)
અને ફારુનના મુકાદમોએ ઇઝરાયલીઓ ઉપર ઠરાવેલા ઉપરીઓને માર મારતાં તેમને કહ્યું, “ઈંટો પાડવાની તમારી વેઠ તમે આજકાલ અગાઉની માફક કેમ પૂરી કરી નથી?”
નિર્ગમન 5 : 15 (GUV)
ત્યારે ઇઝરાયલીઓના ઉપરીઓએ આવીને ફારુનની આગળ પોકાર કરીને કહ્યું, “તમારા દાસોની સાથે તમે આવી રીતે કેમ વર્તો છો?
નિર્ગમન 5 : 16 (GUV)
તમારા દાસોને પરાળ આપવામાં આવતું નથી, ને અમને એમ કહેવામાં આવતું નથી, ને અમને એમ કહેવામાં આવે છે કે, ઈંટો પાડો’ અને જો, તમારા દાસોને માર પડે છે; પણ વાંક તો તમારા લોકોનો છે.”
નિર્ગમન 5 : 17 (GUV)
ત્યારે તેણે કહ્યું, “તમે આળસુ છો, તમે આળસુ છો. તેથી તમે એમ કહો છો કે યહોવાની આગળ યજ્ઞ કરવા માટે અમને જવા દો.
નિર્ગમન 5 : 18 (GUV)
માટે હવે જાઓ, કામ કરો. કેમ કે તમને પરાળ આપવામાં આવશે નહિ. પરંતુ ઈંટની નીમેલી ગણતરી તમારે પૂરી કરી આપવી પડશે.”
નિર્ગમન 5 : 19 (GUV)
અને જ્યારે એમ કહેવામાં આવ્યું કે તમારી રોજની વેઠની નીમેલી ઈંટોમાંથી તમારે કંઈ પણ કમી કરવી નહિ, ત્યારે ઇઝરાયલીઓના ઉપરીઓએ જોયું કે અમારા હાલ તો ભૂંડા છે.
નિર્ગમન 5 : 20 (GUV)
અને ફારુનની પાસેથી તેઓ નીકળ્યા, ત્યારે મૂસા તથા હારુન રસ્‍તામાં ઊભેલા તેઓને મળ્યા.
નિર્ગમન 5 : 21 (GUV)
અને તેઓએ તેમને કહ્યું, “યહોવા તમારા ઉપર દષ્ટિ કરીને ન્યાય કરો. કેમ કે ફારુનની દષ્ટિમાં તથા તેમના સેવજોની દષ્ટિમાં તમે અમને ધિકકારપાત્ર કરી નાખ્યા છે, ને એમ કરીને અમને મારી નાખવા માટે તેઓના હાથમાં તરવાર આપી છે.”
નિર્ગમન 5 : 22 (GUV)
ત્યારે મૂસા યહોવા પાસે પાછો ગયો, ને તેણે કહ્યું, “હે યહોવા, તમે શા માટે આ લોકોના ભૂંડા હાલ કર્યા છે? તમે શા માટે મને મોકલ્યો છે?
નિર્ગમન 5 : 23 (GUV)
કેમ કે હું તમારે નામે બોલવા માટે ફારુનની પાસે ગયો ત્યારથી ફારુન લોકોને છોડાવ્યા નથી.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23

BG:

Opacity:

Color:


Size:


Font: