એસ્તેર 1 : 1 (GUV)
આહાશ્વેરોશ ભારતથી તે કૂશ સુધી એકસો સત્તાવીસ પ્રાંતો પર રાજ કરતો હતો. તેના સમયમાં એમ બન્યું કે,
એસ્તેર 1 : 2 (GUV)
રાજા સૂસાના મહેલમાં પોતાના રાજ્યાસન પર બેઠેલો હતો તે દરમિયાન,
એસ્તેર 1 : 3 (GUV)
તેની કારકિર્દીને ત્રીજે વર્ષે તેણે પોતાના સર્વ સરદારોને તથા પોતાના હજૂરિયાને મિજબાની આપી. ત્યારે ઈરાન તથા માદાયના અમલદારો, પ્રાંતોના અમીરો તથા સરદારો તેની હજૂરમાં હાજર થયા હતા.
એસ્તેર 1 : 4 (GUV)
તે સમયે તેણે પોતાના વિખ્યાત રાજ્યની રિદ્ધિ, તથા પોતાના મહાપ્રતાપનો વૈભવ, ઘણા દિવસો સુધી, એટલે એક સો એંશી દિવસ સુધી બતાવ્યાં.
એસ્તેર 1 : 5 (GUV)
એ પછી રાજાએ સુસાના મહેલમાં જેઓ હાજર હતા તે નાનામોટા સર્વ લોકને, સાત દિવસ સુધી રાજમહેલના બાગના ચોકમાં મિજબાની આપી.
એસ્તેર 1 : 6 (GUV)
ત્યાં ધોળા, લીલા તથા આસમાની રંગના [કાપડના પડદા], રૂપાની કડીઓવાળા તથા આરસપહાણના સ્તંભો સાથે જાંબુડી તથા બારીક શણની સૂતળી વડે બાંધવામાં આવ્યા હતા. સોનારૂપાના પલંગ લાલ, ધોળા, પીળા તથા કાળા આરસપહાણની ફરસબંધી પર હતા.
એસ્તેર 1 : 7 (GUV)
તેઓને પીવને માટે પ્યાલા તો સોનાના હતા, (પ્યાલા તરેહતરેહના હતા.) અને રાજાનો દ્રાક્ષારસ રાજાની ઉદારતા પ્રમાણે પુષ્કળ [હતો].
એસ્તેર 1 : 8 (GUV)
તે નિયમસર પીવામાં આવતો; કોઈને ફરજ પાડી શકાતી નહિ; કેમ કે રાજાએ પોતાના મહેલના સર્વ કારભારીઓને હુકમ કર્યો હતો, “તમારે પ્રત્યેક માણસની મરજી પ્રમાણે વર્તવું.”
એસ્તેર 1 : 9 (GUV)
વાશ્તી રાણીએ પણ અહાશ્વેરોશ રાજાના રાજ્ય-ગૃહમાં સ્ત્રીઓને મિજબાની આપી.
એસ્તેર 1 : 10 (GUV)
સાતમે દિવસે રાજાનું મન દ્રાક્ષારસથી મગ્ન હતું, ત્યારે તેણે મહૂમાન, બિઝથા, હાર્બોના, બિગ્થા, અબાગ્થા, ઝેથાર તથા કાર્કાસ, એ સાત ખોજા અહાશ્વેરોશ રાજાના હજૂરિયા ચાકર હતા, તેઓને આજ્ઞા કરી,
એસ્તેર 1 : 11 (GUV)
“વાશ્તી રાણીને રાજમુગટ પહેરાવીને તેનું સૌદર્ય લોકોને તથા સરદારોને દેખાડવા માટે મારી હજૂરમાં લાવો.” કેમ કે તે દેખાવમાં સ્વરૂપવાન હતી.
એસ્તેર 1 : 12 (GUV)
પણ રાજાએ પોતાના ખોજાઓની મારફતે જે આજ્ઞા કરી હતી તે પ્રમાણે આવવાને વાશ્તી રાણીએ ના પાડી. માટે રાજાને બહું ક્રોધ ચઢ્યો, અને તે ક્રોધથી તપી ગયો.
એસ્તેર 1 : 13 (GUV)
ત્યારે રાજાએ સમયો પારખનાર જ્ઞાનીઓને પૂછ્યું, (કેમ કે નિયમ તથા રૂઢિ જાણનારા સર્વને પૂછવાનો રાજાનો રિવાજ હતો.
એસ્તેર 1 : 14 (GUV)
તેની પાસે ઈરાનના તથા માદાયના સાત સરદારો, કાર્શના, શેથાર, આદમાથા, તાર્શીશ, મેરેસ, માર્સના તથા મમૂખાન [બેઠેલા] હતા. તેઓ રાજાની હજૂરમાં આવજા કરી શકતા હતા, અને રાજ્યમાં પહેલી બેઠકોના હકદાર હતા;)
એસ્તેર 1 : 15 (GUV)
“કાયદા પ્રમાણે વાશ્તી રાણીને આપણે શું કરવું? કેમ કે ખોજાઓની મારફતે [આપેલી] મારી આજ્ઞાનો અમલ તેણે કર્યો નથી.”
એસ્તેર 1 : 16 (GUV)
મમૂખાને રાજાની તથા સરદારોની સમક્ષ ઉત્તર આપ્યો, “વાશ્તી રાણીએ ફક્ત રાજાનો અન્યાય કર્યો છે એમ નહિ, પરંતું સર્વ સરદારોનો તથા અહાશ્વેરોશ રાજાના સર્વ પ્રાંતોના સર્વ લોકોનો પણ [અન્યાય કર્યો છે].
એસ્તેર 1 : 17 (GUV)
કેમ કે રાણીનું આ કૃત્ય સર્વ સ્ત્રીઓમાં જાહેર થશે. તો સર્વત્ર એવા સમાચાર ફેલાશે કે ‘અહાશ્વેરોશ રાજાએ વાશ્તી રાણીને પોતાની હજૂરમાં આવવાનો હુકમ કર્યો પણ તે આવી નહિ, ’ ત્યારે સ્ત્રીઓ પોતપોતાના પતિઓને તુચ્છકારપાત્ર લેખવશે.
એસ્તેર 1 : 18 (GUV)
ઈરાન તથા માદાયના સરદારોની સ્ત્રીઓએ રાણીના એ કૃત્ય વિષે સાંભળ્યું હશે, તેઓ પણ આજે રાજાના સર્વ સરદારોને [એમ જ] ગણશે. અને તેથી પુષ્કળ તિરસ્કાર તથા ક્રોધ [ઉત્પન્‍ન થશે].
એસ્તેર 1 : 19 (GUV)
જો રાજાની ઇચ્છા હોય તો એક બાદશાહી ફરમાન બહાર પાડવું જોઈએ, ને તે ફરે નહિ માટે ઈરાનના તથા માદાયના કાયદાઓમાં તે નોંધાવું જોઈએ કે, ‘વાશ્તી હવે પછી અહાશ્વેરોશ રાજાની હજૂરમાં કદી ન આવે; અને રાજાએ તેનું રાણીપદ તેના કરતાં કોઈ સારી હોય તેને આપવું.’
એસ્તેર 1 : 20 (GUV)
રાજા જે હુકમ કરશે, તે જ્યારે તેના આખા સામ્રાજ્યમાં પ્રસિદ્ધ થશે (કેમ કે તે વિશાળ છે, ) ત્યારે સર્વ સ્ત્રીઓ પોતપોતાના પતિઓને, એટલે નાનાને તેમ જ મોટાને, માન આપશે.”
એસ્તેર 1 : 21 (GUV)
એ સૂચના રાજાને તથા સરદારોને સારી લાગી, તેથી રાજે મમૂખાનના કહેવા પ્રમણે કર્યું.
એસ્તેર 1 : 22 (GUV)
રાજાએ તેના સર્વ પ્રાંતોમાં દરેક પ્રાંતની લિપિ પ્રમાણે, તથા દરેક દેશની ભાષા પ્રમાણે પત્રો મોકલ્યાં, “પ્રત્યેક પુરુષ પોતાના ઘરમાં અધિકાર ચલાવે, ” અને એ હુકમ તે પોતાના લોકની ભાષામાં પ્રગટ કરે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22

BG:

Opacity:

Color:


Size:


Font: